એનસીપી નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડીપી ત્રિપાઠીનું નિધન
ફાઇલ ફોટો
એનસીપીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડીપી ત્રિપાઠીનું ગઈ કાલે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની હૉસ્પિટલમાં તેમનું નિધન થયું છે. એનસીપીના સિનિયર નેતા પ્રફુલ્લ પટેલે ભૂતપૂર્વ સંસદસભ્ય ડીપી ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પોતાના સહયોગી ડીપી ત્રિપાઠીના નિધનથી આઘાત લાગ્યો છે. તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. એનસીપીના મુખ્યા શરદ પવારના ખૂબ જ નજીક મનાતા હતા.
હાલમાં ડીપી ત્રિપાઠી એનસીપીના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ગયા વર્ષે જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. પોતાના વિદાય ભાષણમાં તેમણે સેક્સના મુદ્દાને ઉઠાવતાં કહ્યું હતું કે આજ સુધી એના પર સંસદમાં ચર્ચા થઈ નથી, જ્યારે ગાંધીજી અને લોહિયાએ પણ એના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સેક્સ સાથે જોડાયેલી બીમારીઓના લીધે મોત થાય છે, પરંતુ ક્યારેય એના પર વાત થઈ નથી.