રાણેના ગઢમાં એનસીપીનું જોર
હાલમાં યોજાયેલી નગર પરિષદની ચૂંટણીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી) કોંકણમાં આ વખતે વધુ સીટો અંકે કરશે એવું ચિત્ર ઊપસી રહ્યું છે. નારાયણ રાણેના ગઢ સમાન ગણાતા સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ સહિત વેન્ગુર્લા, માલવણ અને સાવંતવાડીમાં પણ એનસીપીના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. ૧૩૩ નગર પરિષદની કુલ ૨૯૮૫ સીટનાં જાહેર થયેલાં પરિણામોમાંથી અત્યાર સુધી એનસીપી ૧૧૧૪ સીટો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી છે; જ્યારે કૉન્ગ્રેસને ૬૩૯ સીટ, શિવસેના ૩૨૫ સીટ અને બીજેપીને ૧૮૯ સીટ મળી છે. એમએનએસ દ્વારા પણ આ સુધરાઈમાં સારો દેખાવ કરવામાં આવ્યો છે. એના ભાગે ૫૧ સીટ આવી છે. ૨૦૭ અપક્ષ ઉમેદવાર જીતી ગયા છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે કામ કરતા ૪૦૭ ઉમેદવારોની પણ જીત થઈ છે. હવે બાકી રહેલી ૧૮ નગર પરિષદમાં આજે મતદાન થશે.