ખોટી ઓળખને કારણે અર્જુન રામપાલના ઘરે દરોડો પડાયો?
નવમી નવેમ્બરે એનસીબીની ઑફિસમાં અર્જુન રામપાલ (ફાઇલ તસવીર)
અભિનેતા અર્જુન રામપાલના ઘરેથી મળી આવેલી પ્રતિબંધિત ટૅબ્લેટ્સના સંબંધે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ તપાસ અન્ય કોઈ અર્જુનને સ્થાને ભૂલથી અભિનેતા અર્જુન રામપાલના ઘરે કરવામાં આવી રહી હતી.
અર્જુન નામમાં થયેલા આ ગોટાળા વિશે મિડ-ડે સાથે બોલતાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અર્જુન રામપાલના સાળા એગિસિલાઓસ ડિમેટ્રિઆઇડ્સ વૉટ્સઍપ પર કોઈ અર્જુન નામના માણસની સાથે ચૅટ કરતો હતો. આ અર્જુન અભિનેતા અર્જુન રામપાલ હોવાનું માનીને એનસીબીએ તેના બાંદરા ખાતેના રહેઠાણ પર દરોડો પાડ્યો હતો.’
ADVERTISEMENT
અર્જુન રામપાલે એનસીબીના અધિકારીઓને ટૅબ્લેટ્સ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘આમાંની એક ટૅબ્લેટ વેટરનરી ડૉક્ટરે તેના ડૉગી માટે સૂચિત કરી હતી, જ્યારે કે બીજી ટૅબ્લેટ દિલ્હીસ્થિત મનોવૈજ્ઞાનિકે તેની બહેનની અસ્વસ્થતાની બીમારી માટે સૂચવી છે.
એનસીબીના અધિકારીઓની પૂછપરછ વખતે અર્જુન રામપાલે જણાવ્યું હતું કે તેનો સાળો જે અર્જુન સાથે વૉટ્સઍપ ચૅટ કરે છે તે કોઈ અન્ય છે. એનસીબી દ્વારા થયેલી આ ભૂલને પગલે ૯ નવેમ્બરે અર્જુન રામપાલના ઘરે રેઇડ પાડવામાં આવી હતી.
રેઇડ દરમ્યાન એનસીબીએ બે પ્રકારની ટૅબ્લેટ્સ જપ્ત કરી હતી જેમાંની એક ટૅબ્લેટ અલ્ટ્રાસેટ હતી. આ દવા મધ્યમથી ગંભીર બીમારીમાં ઉપયોગમાં લેવાય છે. આ દવા ટ્રામાડોલ અને એસિટામિનોફેન ધરાવે છે. એક પટ્ટીમાં ૧૫ ગોળીઓ આવે છે. અર્જુન રામપાલના ઘરેથી આની ચાર ટૅબ્લેટ્સ મળી આવી હતી.
બીજી ટૅબ્લેટ ક્લોનાઝેપમ હતી, જેનો ઉપયોગ પૅનિક અટૅકની સારવાર માટે કરવામાં આવે છે. આ ગોળીની બે સ્ટ્રિપ મળી હતી.