કચ્છના અંજારમાં રાસ જોવા માટે આવતા મગરની યાદમાં હવે હોય છે યાંત્રિક મગર
આ રાસની ખાસિયત એ છે કે ચાલુ રાસે એમાં મગર આવે છે. અફર્કોસ, આ મગર સાચો નથી, પણ સાચા મગરની યાદમાં બનાવવામાં આવેલો યાંત્રિક મગર છે. અંબિકા ગરબી મંડળના આયોજક જયંતી સોઢા ગરબીનો ઇતિહાસ વર્ણવતાં કહે છે, ‘ચાલીસ વર્ષ પહેલાં નવરાત્રિની ગરબીની રાતે દરરોજ અહીં મગર આવતો. મગર કોઈને ઈજા પહોંચાડ્યા વિના છેલ્લા રાસ સુધી બેસે અને પછી જંગલ વિસ્તારમાં ગુમ થઈ જાય. નવ રાત સિવાય આ મગર ક્યારેય દેખાયો નહોતો. ચારેક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું, પણ પછી એક નવરાત્રિ દરમ્યાન જંગલ ખાતાના લોકો મગરને પકડવા આવી ગયા. એ દિવસે મગર ભાગી ગયો અને પછી ક્યારેય દેખાયો નહીં. આ ઘટના પછી અચાનક ગામની દીકરીઓ પણ બીમાર રહેવા લાગી. બધાને લાગ્યું કે મા ખોડિયારના વાહન એવા મગરના શાપને કારણે આ બન્યું હોવું જોઈએ. બધાએ માનતા માની કે હવેથી નવરાત્રિનો છેલ્લો રાસ મગરને અર્પણ કરવો અને એમાંથી આ ખોડલની ધારના રાસની શરૂઆત થઈ.’
શરૂઆતમાં વષોર્માં મગરના કટ-આઉટનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ જેમ-જેમ ટેક્નોલોજી આગળ વધવા લાગી એમ-એમ કટ-આઉટને બદલે મગરના ફુગ્ગા અને હવે ઇલેક્ટ્રૉનિક મગર આ રાસમાં સામેલ થઈ ગયો છે. ખોડલની ધાર નામના આ મગર રાસમાં છ બાળાઓ ભાગ લે છે. અડધા રાસ પછી મગર પર બેસીને ખોડિયાર મા બનેલી બાળા પ્રેક્ષક વચ્ચેથી ગરબીના મંડપ નીચે આવે છે અને સ્ટેજ પર મા ખોડલ અને તેની છ બહેનો વચ્ચે રાસ રમાય છે. ખોડલની ધાર રાસ વાઇબ્રન્ટ ગુજરાત અને કચ્છ કાર્નિવલ દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ જોઈ ચૂક્યા છે.
- તસવીર : વિમલ જોશી