ભાઇંદરમાં મિની કલકત્તા : દુર્ગામાતાની મૂર્તિ પણ ઇકો-ફ્રેન્ડ્લી
પ્રીતિ ખુમાણ
ADVERTISEMENT
ભાઈંદર-ઈસ્ટમાં એક સંસ્થા દ્વારા ભવ્ય મંદિર બનાવીને ઇકો-ફ્રેન્ડ્લી દુર્ગામાતાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. મૂર્તિથી લઈને મંડપ, મંદિર એમ બધી વસ્તુઓ કલકત્તાથી આવેલા માણસોએ બનાવી છે. એક મહિનો રાત-દિવસ કરીને અહીં મિની કલકત્તા તૈયાર કરવામાં આવ્યું છે.
ભાઈંદર-ઈસ્ટમાં આરએનપી પાર્કમાં બંગા સંઘા નામની સંસ્થા છેલ્લાં ૩૦ વર્ષથી દશેરાના ચાર દિવસ પહેલાં દુર્ગામાતાની મૂર્તિ બિરાજમાન કરે છે. આ વખતે ૪૨ ફૂટનું ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ આખું મંદિર કપડાં, લાકડાં અને થર્મોકોલથી બનાવવામાં આવ્યું છે. કલકત્તામાં માતાની આરતી વખતે એક ખાસ ડ્રમ વગાડવામાં આવે છે જે ડાંકી તરીકે ઓળખાય છે. એને માટે પણ કલકત્તાથી એક ટીમને બોલાવવામાં આવી છે. આ ૧૫ ફૂટની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ છે. મંદિરની અંદરથી લઈને આજુબાજુ કરવામાં આવેલો શણગાર જોઈને મિની કલકત્તા જેવું જોવા મળે છે. આસપાસ ગુજરાતીઓની વસ્તી વધારે હોવાથી ત્રણ દિવસ ચાલતી પૂજામાં ગુજરાતીઓ વધુપડતો ભાગ લે છે. ત્રણેય દિવસ કલકત્તામાં જ ખાવા મળતી ખીચડીનો પ્રસાદ અહીં ભક્તોને આપવામાં આવે છે. આજે દશેરાના દિવસે મૂર્તિની વિસર્જનયાત્રા સાથે સાંસ્કૃતિક પદ્ધતિથી માતાની મૂર્તિનું વર્સિજન કરવામાં આવશે.