અયોધ્યા માટે 140 કરોડ રૂપિયા, ખેડૂતોને આકર્ષવા મોટી જાહેરાતો
યોગી આદિત્યનાથ
નાણાપ્રધાન સુરેશ કુમારે સોમવારે યોગી સરકારનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું જેમાં ખેડૂતોને આકર્ષવા માટેની અનેક જાહેરાતો સામેલ છે. સુરેશ કુમારે સદનમાં ૫,૫૦,૨૭૦ કરોડનું ભારે ભરખમ બજેટ રજૂ કર્યું હતું. યુપી સરકારનું આ બજેટ યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે. એના પહેલાં સોમવારે સવારે મુખ્ય મંત્રી આવાસ ખાતે યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કૅબિનેટની બેઠકમાં યુપી બજેટ ૨૦૨૧-’૨૨ને મંજૂરી આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશમાં ૩ વર્ષમાં ઑપરેશનલ ઍરપોર્ટ્સની સંખ્યા ૪થી વધીને ૭ થઈ ગઈ છે. જનપદ અયોધ્યામાં નિર્માણાધીન ઍરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ વિમાનમથક અયોધ્યા રાખવામાં આવશે અને એના માટે ૧૦૧ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અયોધ્યામાં ઍરપોર્ટ માટે ૧૦૧ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી. જેવર ઍરપોર્ટ માટે ૨૦૦૦ કરોડ. આ સાથે જ ચિત્રકૂટ અને સોનભદ્ર ઍરપોર્ટ ખાતે ૨૦૨૧ના વર્ષમાં હવાઈસેવાઓનું સંચાલન શરૂ કરવાનો દાવો કરાયો.
નાણાપ્રધાને અયોધ્યાસ્થિત સૂર્યકુંડના વિકાસ સહિત અયોધ્યા નગરીના સર્વાંગી વિકાસ માટે બજેટમાં ૧૪૦ કરોડ રૂપિયાની વ્યવસ્થાનો પ્રસ્તાવ જણાવ્યો હતો. એ સિવાય લખનઉમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના નિર્માણ માટે ૫૦ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી છે.