Coronavirus: કેન્દ્રનો નિર્ણય,ડૉક્ટર વિરુદ્ધ હિંસા કરનારને થશે આકરી સજા
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય કેબિનેટે બુધવારે કોરોના વાયરસ સામેની લડતમાં સામેલ આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાઓને ધ્યાનમાં રાખીને એવા વટહુકમને મંજૂરી આપી જેમાં ડૉક્ટરો કે પોલીસ વગેરે પર હુમલા કરનારાઓ સામે બિનજામીની ગુનો દાખલ કરાશે. આ વટહુકમ અનુસાર કોરોનાનાં લડવૈયા વિરુદ્ધની હિંસાને માન્યતાપૂર્ણ અને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. આજે આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સૂચિત વટહુકમમાં આરોગ્ય કર્મચારીઓને ઇજાઓ પહોંચાડવા,સંપત્તિને નુકસાન પહોંચાડવા સામે સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે સૂચિત વટહુકમ દ્વારા રોગચાળા અધિનિયમ 1897માં સુધારો કરવામાં આવશે. આ આરોગ્ય કર્મચારીઓને બચાવવા અને હિંસાથી રહેવા તથા કામ કરવાની જગ્યાઓને સુરક્ષીત કરવામાં પણ મદદ રહેશે. કોવિડ -19 પછી પણ નવા બદલાવ લાગુ રહેશે કે કેમ તે પૂછવામાં આવતા જાવડેકરે કહ્યું કે, પેન્ડેમિક એક્ટ 1897 માં સુધારા માટે વટહુકમને મંજૂરી આપી દેવામાં આવી છે.
વટહુકમમાં હિંસાના દોષી જાહેર કરાયેલાઓને છ મહિનાથી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ રોગચાળાથી દેશને બચાવવા માટે પ્રયાસ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ દુર્ભાગ્યે હુમલાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સામે હિંસા અથવા આવી કોઈ પણ ઘટના સહન કરવામાં આવશે નહીં. એક વટહુકમ રજૂ કરવામાં આવ્યો છે, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો અમલ થશે. આવા ગુના નોંધાશે તો તેની સામે તપાસ કરાશે અને 30 દિવસની અંદર અંદર તપાસ કરી આરોપીને ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજા અને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર ઈજાઓ થવા પર આરોપીને છ મહિનાથી સાત વર્ષની સજા થઈ શકે છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓના વાહનો કે ક્લિનિક્સને નુકસાન થાય છે, તો નુકસાન થયેલી સંપત્તિનું વળતર બમણું કરવામાં આવશે.