લદ્દાખ નજીક ચીને એરબેઝનું વિસ્તરણ કર્યું, ભારત અને ચીન બંન્ને છે તૈયાર
મે મહીનાની શરૂઆતમાં ચીન અને ભારતના સૈનિકોની સરહદની દેખરેખ કરતી વખતે પેંગોંગ લેક વિસ્તારમાં એક ઝઘડો થયો હતો. પૂર્વ લદ્દાખ બોર્ડર પર સતત તણાવ રહે છે.
ચીન અને ભારત વચ્ચેની તંગદિલી વધી રહી છે કારણકે ચીને લદ્દાખ નજીક પોતાનો એરબેઝ વિસ્તાર્યો છે. એક મીડિયા હાઉસે જાહેર કરેલી તસવીરોમાં ફાઇટર પ્લિન્સ એરબેઝનાં ટર્મેક પર દેખાઇ રહ્યાં છે. આ એરબેઝ નાગરી કુંસા એરપોર્ટ પર છે જે તિબેટમાં પેંગોંગ લેકથી બસ્સો કિલોમિટર દૂર છે. આ એરબેઝની એપ્રિલની શરૂઆતની તસવીરો અને અત્યારની તસવીરોમાં પરિવર્તન છે વળી તેમાં નવો ટ્રેક પણ જોવા મળે છે. બની શકે કે અહીં હેલીપેડની વ્યવસ્થા પણ કરાઇ હોય. જો કે ફોટોગ્રાફમાં ચાર ફાઇટર પ્લેન્સ પણ દેખાય છે. ડોક્લામ વિવાદ પછી ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે સતત તાણ વધી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ સંજોગો વધુ કપરા થઇ રહ્યાં છે. ચીની સૈન્યનાં બેથી અઢી હજાર સૈનિકો આ વિસ્તારમાં તૈનાત કરાયા છે. અને ચીનની ઘુસણકોરી ચિંતા જનક છે તેમ લેફ્ટનન્ટ જનરલ હુડ્ડાએ જણાવ્યું હતું. તેમના મતે આ કોઇ સામાન્ય બાબત નથી. ચીને દૌલાત બેગ ઓલ્ડિ, ગેલવાન નાલા અને પેંગ્યોંગ તળાવને તેમના તંબુમાં 5,000 થી વધુ સૈનિકો સાથે ગોઠવી દીધા છે. ભારતે સૈન્ય તૈનાત કર્યું હતું. આ અગાઉ મે મહીનાની શરૂઆતમાં ચીન અને ભારતના સૈનિકોની સરહદની દેખરેખ કરતી વખતે પેંગોંગ લેક વિસ્તારમાં એક ઝઘડો થયો હતો. પૂર્વ લદ્દાખ બોર્ડર પર સતત તણાવ રહે છે.
ભારતની તૈયારી
ADVERTISEMENT
ચીન ભલે સરહદ પર સળી કરતું હોય પણ લદ્દાખના સંજોગોને ધ્યાનમાં રાખીને ભારતીય લશ્કરની ત્રણેય પાંખે એક બેઠક કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સંજોગોની વિગતો આપી છે. સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ બેઠકમાં હાજર હતા. નેવી, આર્મી અને એરફોર્સ ત્રણેયે પોતાના તરફથી જરૂરી બ્લુ પ્રિન્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી છે. જનરલ બિપિન રાવતે વર્તમાન પરિસ્થિતિ અને ત્રણેય સેના વતી તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગેની માહિતી આપી હતી.
ચીનમાં શું ચાલે છે?
ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆએ જાહેર કરેલી માહિતી અનુસાર શી-જિનપિંગે કહ્યું કે આ સંજોગોને બહુ વ્યવસ્થિત રીતે અને ચિવટપૂર્વક પાર પાડવામાં આવશે. તેમણે કોઇ જોખમની વાત તો નથી કરી પણ ભારત-ચીન બોર્ડર પરનાં તણાવને સંદર્ભે જ આ ટિપ્પણી કરી હતી. જિનપિંગે ડિફેન્સમાં સાઈન્ટિફિક ઈનોવેશન પર ભાર મૂક્યો છે. ડિફેન્સ પર ખર્ચાતા નાણાંનો ઉપયોગ પણ યોગ્ય રીતે થવો જોઇએ તેમ પણ તેમણે કહ્યું હતું.