નર્મદાની કેનાલોનું 10,796 કિલોમીટર કેનાલનું કામ બાકી,સરકારે સ્વીકાર્યું
રાજ્ય સરકાર અનેક વિસ્તારોમાં નર્મદાની કેનાલથી પાણી પહોંચ્યા હોવાના દાવા કરતી રહી છે. જો કે હવે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદાના નીર પહોંચાડવા માટે જરૂરી કેનાલોનું કામ હજીય બાકી છે. વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર્યું કે હજીય 10,796 કિલોમીટરની કેનાલોનું કામ બાકી છે. વિધાનસભાના સત્ર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આંકડા જાહેર કરતા કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 60,952 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 10,796 કિલોમીટરના નેટવર્કનું કામ હજુ બાકી છે. નહેરોના બાકી કામ માટે હજુ 4,354 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.
70 હજાર કરોડથી વધુનો ખર્ચ
ADVERTISEMENT
આ મામલે માહિતી આપતા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું,'અત્યાર સુધી નર્મદા યોજના પાછળ 70167.55 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જનતાદળ અને બીજેપીની સરકાર હતી ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ કડી પાસેની નર્મદાની મેઈન કેનાલનું કામ કરવા માટે જમીન સંપાદન માટે મને સૂચના આપી હતી. મેં ગામડાઓમાં ફરીને ખેડૂતોને જમીન આપવા માટે તૈયાર કર્યા હતા, જેના કારણે 1994માં ચીમનભાઈના હસ્તે ભૂમિપૂજન થઈ શક્યું હતું.'
વીરજી ઠમ્મરનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે 25 વર્ષથી નર્મદા કેનાલના કામ બાકી હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને પરિણામે ગૃહમાં હોબાળો મચી ગયો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપતા સમયે કોંગ્રેસ પર જૂઠાણાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું.
આ પણ વાંચોઃ પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'
કોંગ્રેસના ધારાસભ્યોને અપીલ
નર્મદાના કેનાલની માહિતી આપતા સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને મદદ માટે અપીલ કરી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 16 લાખ 51 હજાર 432 હેકટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવા સક્ષમ બન્યા છીયે. જમીન સંપાદન માટે ખાસ કચ્છના ધારાસભ્યો વાસણ આહીર અને નીમા બેનને વિનંતી કરુ છું. કોગ્રેસના ધારાસભ્યો પણ નર્મદા કેનાલના જમીન સંપાદન માટે મદદ કરે તો ઝડપથી નર્મદા કેનાલનું કામ પૂરું કરી શકીશું.