નરેન્દ્ર મોદી કરશે સત્તાનાં ૧૦ વર્ષની અનોખી ઉજવણી
રશ્મિન શાહ
રાજકોટ, તા. ૪
ADVERTISEMENT
તેઓ આપશે સેવાભાવ તરફ ધ્યાન : પાર્ટીને પણ સેવાકીય રીતે સેલિબ્રેશન કરવાનું કહ્યું
શુક્રવારે શાસનકાળના દિવસે નરેન્દ્ર મોદી વતી ગુજરાત બીજેપીના કાર્યકરોએ ગુજરાતના અલગ-અલગ વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોમાં રહેતા અનાથ અને લાચાર લોકોને જમાડવાનો કાર્યક્રમ રાખ્યો છે. મુખ્ય પ્રધાને આ દિવસે કોઈ પણ પ્રકારની ઉજવણી મનોરંજક ન હોય એવો પણ સંદેશો મોકલ્યો હોવાથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને અગિયારમું વર્ષ શરૂ થઈ રહ્યું હોવાથી મંત્રાલયના અમુક પ્રધાનોએ પાર્ટી રાખવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ તે તમામને પાર્ટી રદ કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે અને ભાવપૂર્વક કહેવામાં આવ્યું છે કે જે કોઈ ખર્ચ કરવાની ઇચ્છા હતી એ ખર્ચ મુખ્ય પ્રધાને બનાવેલી કન્યા કેળવણી નિધિમાં દાન તરીકે જમા કરાવવો. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે સરકારી કાર્યક્રમો આ દિવસે યથાવત્ રીતે ચાલુ રહેવાના છે અને કોઈ પણ પ્રકારના બુકે કે ગિફ્ટ્સ મુખ્ય પ્રધાનની ચેમ્બરમાં લઈ જવાની તેમણે અત્યારથી જ ના પડાવી દીધી છે, જેનું ચુસ્તપણે સિક્યૉરિટી ગાર્ડ પાલન કરશે.
બુકે-ગિફ્ટ્સ
ગયા વર્ષે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બુકે કે ગિફ્ટ્સ લઈને ન આવવાની સૂચના આપી હતી. એમ છતાં ૨૧૭ જેટલી ગિફ્ટ તેમને મળી હતી, જે તેમણે ખોલ્યા વિના જ ગુજરાત સરકારના તોશાખાનામાં જમા કરાવી દીધી હતી.