મોદી-શાહ અજેય નથીઃ દિલ્હીનાં પરિણામો બાદ રાઉતનું નિવેદન
સંજય રાઉત
શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાનાં પરિણામો સૂચવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અજેય નથી.
સેનાના મુખપત્ર ‘સામના’ની સાપ્તાહિક કૉલમમાં તેના એક્ઝિક્યુટિવ એડિટર રાઉતે બીજેપીની ‘ધર્મકેન્દ્રી’ રાજકીય રણનીતિની ટીકા કરી હતી અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારનાં વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં અજેય જણાયેલું બીજેપી દિલ્હીમાં પત્તાંના મહેલની માફક ખરી પડ્યું હતું.
રાઉતે વ્યંગ કરતાં જણાવ્યું હતું કે ‘કોઈ પણ દેશ ધર્મ વિનાનો નથી, પણ ધર્મનો અર્થ દેશભક્તિ નથી થતો. બીજેપીએ તો લગભગ ભગવાન રામને જ ચૂંટણીના રણમેદાનમાં ઉતારી દીધા હતા, પરંતુ હનુમાનના ભક્ત કેજરીવાલ દિલ્હીમાં રામરાજ્ય લાવ્યા હતા.’
ADVERTISEMENT
તેમણે આગળ જણાવ્યું હતું કે ‘દિલ્હીની એક તસવીરમાં કેજરીવાલને હનુમાનના ભક્ત દર્શાવાયા હતા અને દિલ્હીના નગરજનો રામ બન્યા, રામ મજબૂતપણે હનુમાનની પાછળ ઊભા રહ્યા.’