અડવાણી-જોશીને મળ્યા નરેન્દ્ર મોદી-અમિત શાહ
લાલ કૃષ્ણ આડવાણીના આશીર્વાદ લેતા મોદી
લોકસભા ચૂંટણીમાં એનડીએને સ્પક્ટ બહુમતી મળ્યા બાદ શુક્રવારે વડા પ્રધાન મોદી અને શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. મોદીએ ટ્વિટર પર તસવીર પોસ્ટ કરી લખ્યું કે, ભાજપની જીત આજે સંભવિત બની છે, કેમકે અડવાણી જેવા લોકોએ પાર્ટીને મજબૂત કરવા માટે દશકાઓ સુધી કામ કર્યુ છે. એ બાદ બંને નેતાઓએ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. અડવાણી-જોશી ભાજપના માર્ગદર્શક મંડળમાં પણ છે.
વડા પ્રધાન સાથે મુલાકાત પછી મુરલી મનોહર જોશીએ મીડિયાને કહ્યું કે ‘આ અમારી પાર્ટીની પરંપરા છે. અમે વયોવૃદ્ધથી શુભકામનાઓ લઈએ છીએ, જેથી ભવિષ્યમાં વધુ શક્તિ સાથે કામ કરી શકીએ. આ દ્રષ્ટિથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ અહીં આવ્યા હતા. બંનેએ જાદુઈ આંકડાઓ પ્રાપ્ત કર્યા છે. અમે પાર્ટીનું બીજ રોપ્યું હતું. હવે દેશને સ્વાદિષ્ટ ફળ અપાવવાની આ બંનેની જવાબદારી છે.