નલિયા-ભુજ, જામનગર ઍરબૅઝ, પોરબંદર નૅવલ બૅઝની ચોકીઓ ટાર્ગેટ?
File Photo
ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ એવા અરબી સમુદ્રના સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાને ગોરીલા હુમલો કરી શકે તેવી એક સાથે ચાર-ચાર મિનિ સબમરીનો ઉતારતાં હડકંપ મચી જવા પામ્યો છે અને ભારતીય સુરક્ષાદળોએ આ હિલચાલને અતિ ગંભીર ગણાવી છે. મળતા અહેવાલોને પ્રમાણે ટર્કીની બનાવટની આ મિનિ સબમરીન રડાર પર સરળતાથી ડિટેક્ટ કરી શકાતી નથી તેથી આ મામલો વધુ ગંભીર બનવા પામ્યો છે.
દરમ્યાન, ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવાયું છે જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ નવા ‘નાપાક’ લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા એરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
થોડા દિવસ પહેલા જ ટર્કીનાં સેનાધ્યક્ષની પાક મુલાકાત બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ સરક્રિકના વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ ચાર મિનિ સબમરીન હાલ કરાંચીના કેટી બંદર પાસેનાં કિયોમારી પોર્ટ ઉપર રાખવામાં આવી છે. જે ટૂંક સમયમાં કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનના ક્રીક વિસ્તારમાં ફરતી થઈ જશે. એવું પણ જાણવા મળે છે કે ક્રિકના છીછરા પાણીમાં હાલની સબમરીન કામ ન લાગતી હોવાની સ્થિતિમાં આ નવી મિનિ સબમરીન નાપાક ઈરાદા પાર પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.