હાઈ કોર્ટે NEERI, GSI પાસે માગ્યો અહેવાલ, લોણાર લેકનો રંગ ગુલાબી કેમ?
લોણાર લેક
લોણાર તળાવનો રંગ ગુલાબી થઈ ગયો છે એને પગલે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે તળાવ પર પર્યાવરણીય પ્રભાવના મૂલ્યાંકન વિશે નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) તથા જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા પાસેથી અહેવાલો માગ્યા છે.
જસ્ટિસ સુનીલ શુક્રે અને અનિલ કિલોરની ડિવિઝન બેન્ચે સોમવારે કીર્તિ નિપાંકર દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી હાથ ધરી હતી, જેમાં તળાવના પાણીનો રંગ બદલાઈ જવા મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
બેન્ચે જણાવ્યું હતું કે અદાલત દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિ સહિત સ્વયં ન્યાયાધીશ પણ સ્થળની મુલાકાત લેશે. આશરે 50,000 વર્ષ પહેલાં ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો એને પગલે અંડાકાર લોણાર તળાવની રચના થઈ હતી તથા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું એ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તાજેતરમાં આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે જેનાથી માત્ર સ્થાનિક લોકો જ નહીં બલકે પ્રકૃતિપ્રેમીઓ તથા વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે.