મુંબઈના સ્કૉટલૅન્ડ સાથેના દુર્લભ કનેક્શનને તોડી પડાયું
બ્રિજ તોડી પાડવામાં આવ્યું
સ્કોટલૅન્ડ સાથેના મુંબઈના એક અતિદુર્લભ કનેક્શનને શનિવારે રાત્રે તોડી પાડવામાં આવ્યું. સેન્ટ્રલ રેલવેએ સમ ખાવા પૂરતા બચેલા શહેરના કેટલાક ફુટઓવર બ્રિજ પૈકીના એક – સ્કોટલૅન્ડના લેન્કેશરમાંથી બનાવાયેલા અને આયાત કરવામાં આવેલા ફુટઓવર બ્રિજને તોડી પાડવામાં આવ્યો.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યા મુજબ ‘વિદ્યાવિહાર સ્ટેશન પરનો જૂનો ફુટઓવર બ્રિજ ગઈ કાલે રાત્રે તોડી પાડવામાં આવ્યો. બ્રિજને તોડી પાડવાની કામગીરી ગઈ કાલે રાત્રે આશરે ૧૧.૧૫ વાગ્યાથી શરૂ થઈ એના સ્થાને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.’
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યું હતું કે લેન્કેશરથી મગાવાયેલાં કેટલાંક માળખાંએ મુંબઈ અને થાણે વચ્ચેની દેશની પ્રથમ રેલવે લાઇનને જોડવાનું જારી રાખ્યું છે ત્યારે વિદ્યાવિહારનો ફુટઓવર બ્રિજ કોઈ કલાત્મક કે અલંકારિક તત્ત્વો ન ધરાવતો હોવા છતાં તેમ જ સરળ અને વ્યવહારું ડિઝાઇન ધરાવતો બ્રિજ હોવાથી ચાવીરૂપ નિશાની હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજના નિર્માણકાર્યની તારીખ ઉપલબ્ધ નથી.
સેન્ટ્રલ રેલવેના રેકૉર્ડ મુજબ વિદ્યાવિહાર સ્ટેશન ૧૯૬૧ની ૧૬ ઑગસ્ટે શરૂ થયું હતું. સૂત્રોએ જણાવ્યાનુસાર આ બ્રિજ સ્ટેશન બન્યું એ પહેલાંથી અહીં મોજૂદ હતો અને પછીથી તેને સ્ટેશન સાથે જોડી દેવાયો હતો. ૨૦૧૯ના આઇઆઇટી ઑડિટમાં બ્રિજને અસલામત જાહેર કરવામાં આવતાં એને ડિમોલિશનની યાદીમાં મૂકવામાં આવ્યો હતો.