ઠાકુર્લીનો આ બ્રિજ અસલામત નથી?
ઠાકુર્લીનો આ બ્રિજ
મધ્ય રેલવેના ઉપનગરીય સ્ટેશન ઠાકુર્લીનો રોડ ઓવરબ્રિજ અસલામત હોવાના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓના દાવાને મધ્ય રેલવે અને મહાનગરપાલિકાના નિષ્ણાતોએ ખોટો ઠેરવ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓની ફરિયાદને પગલે મધ્ય રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના એન્જિનિયર્સે ઇન્સ્પેક્શન કર્યા બાદ ઠાકુર્લી સ્ટેશનનો રોડ ઓવરબ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ઉક્ત રોડ ઓવરબ્રિજ જોખમી સ્થિતિમાં હોવાના દાવા સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજેશ કદમે સોશ્યલ મીડિયા પર એની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોની સાથે રાજેશે બ્રિજના સંપૂર્ણ સ્ટ્રક્ચરલ ઑડિટની માગણી કરતાં બ્રિજની સ્થિતિ તરફ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનરનું પણ ધ્યાન દોર્યું હતું. ત્યાર પછી એન્જિનિયર્સે ઇન્સ્પેક્શન કર્યું હતું.