ચર્ચગેટ વિસ્તારમાં માટે વૅલે પાર્કિંગ સેવા શરૂ થઈ શકે
ચર્ચગેટમાં પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે વૅલે પાર્કિંગ સેવા શરૂ થશે
ચર્ચગેટની આસપાસ કામકાજ માટે જતા લોકોને વાહન પાર્ક કરવાની સમસ્યા પરેશાન કરે છે, કારણ કે એ વિસ્તારના પબ્લિક પાર્કિંગ લૉટ્સ કોલાબાના બેસ્ટ ડેપો અને નરીમાન પોઇન્ટના સીઆરટૂ મૉલ ખાતે રાખવામાં આવ્યા છે. બેસ્ટ ડેપોમાં ૮૦ સ્લોટ્સ અને સીઆરટૂ મૉલમાં ૨૧૫ સ્લોટ્સ ઉપલબ્ધ છે. એ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ પાર્કિંગ ઑથોરિટી વાહનોને પાર્કિંગ લૉટ્સ સુધી લઈ જવા અને લાવવા માટે વૅલે સર્વિસ લાગુ કરવાની વિચારણા કરે છે. તાજેતરમાં મુંબઈ પાર્કિંગ ઑથોરિટીની બેઠકમાં સ્ટ્રીટ પાર્કિંગના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હોવાનું ઑથોરિટીના ઍડ્વાઇઝરી મેમ્બર શિશિર જોશીએ જણાવ્યું હતું. એક સ્ટાર્ટઅપ કંપનીએ નરીમાન પૉઇન્ટથી અંબરનાથ સુધી ૧૫૦ ઠેકાણે વૅલે પાર્કિંગની સુવિધાની યોજના ઘડી છે.
પીપીએલ ઑપરેટર્સ માને છે કે આ આઇડિયા ઘણો જ સારો તેમ જ નફાકારક છે. હાલમાં લોઅર પરેલ, નેપિયન સી રોડ અને બાંદરામાં પે ઍન્ડ પાર્ક લૉટ ચલાવતા અખ્તર હુસૈન ખાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ આઇડિયાને સફળ બનાવવા માટે બીએમસીએ કડક કાયદાઓ ઘડી એનું સતત સખતપણે પાલન કરાવવું પડશે. વૅલે સર્વિસનો ઉપયોગ કરી પાર્કિંગ લૉટ ભરી શકાય છે, પરંતુ જો થોડા દિવસ પછી ટ્રાફિક પોલીસ લોકોને દંડ કરવાનું છોડી દેશે તો તેઓ ક્યારેય વૅલે સર્વિસના વિકલ્પને પસંદ નહીં કરે.’