મુંબઈ : કાંદિવલીમાં બે માળની ચાલનો ભાગ તૂટી પડ્યો
કાંદિવલીમાં કાટમાળ નીચે સપડાયેલા લોકોને શોધી રહેલા એનડીઆરએફના જવાનો.
કાંદિવલીમાં આવેલા ગણેશનગરમાં ગઈ કાલે સવારે ૬ વાગ્યે એક બેઠી ચાલનો ઉપરના માળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં બે જણને ઈજા પહોંચી હતી અને ૧૨ લોકોને કાટમાળની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.
નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ના કન્ટ્રોલ રૂમે આપેલી માહિતી મુજબ કાંદિવલીના ગણેશનગરમાં સબરિયા મસ્જિદની પાછળ આવેલી દીપજ્યોતિ નામની બેઠી ચાલનું ગ્રાઉન્ડ પ્લસ સ્ટ્રક્ચર સવારે અચાનક તૂટી પડ્યું હતું. આ ચાલમાં રહેતા ૧૪ લોકો કાટમાળમાં ફસાયા હતા. તેમને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. એનડીઆરએફના જવાનોએ ઘટનાસ્થળેથી ઈજા પામેલા ૪૫ વર્ષના કિરમત અલિશ અને ૪૮ વર્ષના શેખ બાઉલ્લા નામના બે માણસોને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલ્યા હતા અને કાટમાળની અંદર કોઈ ફસાયું હોય તો તેમની શોધ ચાલુ કરી હતી. અમુક કલાકની તપાસ બાદ કાટમાળની નીચે કોઈ ન હોવાનું જણાતાં સર્ચ ઑપરેશન બંધ કરવામાં આવ્યું હતું. દીપ જ્યોતિ નામની આ બેઠી ચાલનો ભાગ કેવી રીતે અચાનક તૂટી પડ્યો હતો એની તપાસ હાથ ધરાઇ છે.