કોરોના કેસમાં જમ્પનું કારણ લોકલ ટ્રેન છે?
મુંબઈ લોકલ ટ્રેન
કોવિડ-19ના કેસ અને મૃત્યુમાં થોડો સમય ઘટાડો નોંધાયા બાદ શહેરમાં તેમ જ એમએમઆરમાં કેસ વધવા માંડ્યા છે. જોકે સ્થાનિક અધિકારીઓ જણાવે છે કે આની પાછળનું કારણ લોકલ ટ્રેનો શરૂ થઈ એ નથી જ. લગભગ એક મહિનાના અંતરાલ બાદ કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. જોકે મરણાંક માત્ર ૪ રહ્યો છે. રાજ્યમાં કોવિડ-19નાં કુલ ૩૦ મૃત્યુ નોંધાયાં છે.
ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કુલ ૪૦૦થી ૪૫૦ કેસ નોંધાયા હતા. ગઈ કાલે ૫૫૮ નવા કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ ૧૫,૬૮૮ ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૩.૫ ટકા ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. મંગળવારે ૨.૬ ટકા ટીપીઆર (ટેસ્ટ-પેશન્ટ રેશિયો) નોંધાયો હતો, જ્યારે સોમવારે ૮૮૯૯માંથી ૩૯૯ (માત્ર ૪.૫ ટકા) ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.
ADVERTISEMENT
મુંબઈ સહિત એમએમઆરમાં મંગળવારે ૬૯૩ કેસ હતા જે બુધવારે આંચકાજનક રીતે વધીને ૧૦૭૫ નોંધાયા હતા, જે ૫૫ ટકાની વૃદ્ધિ સૂચવે છે.
કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૦૩, થાણેમાં ૯૯ અને નવી મુંબઈમાં ૯૮ કેસ નોંધાયા હતા. દરમ્યાન બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘કેસ ચોક્કસ વધ્યા છે, પરંતુ તે લોકલને કારણે નથી વધ્યા. અમે એરપોર્ટ અને અન્ય સ્થળોએ ટેસ્ટિંગમાં વધારો કર્યો હોવાથી એ વધ્યા છે.’
ગઈ કાલે મુંબઈમાં ચાર મૃત્યુ નોંધાયાં હતાં, જે તમામ કોવિડ સાથે અન્ય રોગની રોગીના શરીરમાં હાજરીને કારણે થયાં હતાં. સોમવાર અને મંગળવારે માત્ર ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં, જે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીનાં સૌથી ઓછાં હતાં.