સવા લાખ રોકડા અને 80 હજારના આઇફોન સાથેની બૅગ ચોરાઈ ગઈ
અંબરનાથના વેપારી રિતેશ નાગડા (ડાબી બાજુ), સહપ્રવાસી ચિરાગ સંગોઈ (જમણી બાજુ)
અંબરનાથ, બદલાપુર અને આસપાસના પરિસરમાંથી ૩૫ કચ્છી મહિલા અને પુરુષોનું ગ્રુપ ૨૩ ડિસેમ્બરે ૧૦ દિવસ માટે કેરળની ટૂર પર ગયું હતું. એક જાન્યુઆરીએ એર્નાકુલમ સ્ટેશન પરથી ગ્રુપ થ્રી-ટિયર એસીમાં પ્રવાસ કરીને મુંબઈ આવી રહ્યું હતું. ગુરુવારે સવારે આ કોચમાંથી ગ્રુપને લીડ કરનાર અંબરનાથ-ઈસ્ટમાં રહેતા અને ૨૭ વર્ષના દાણાના હોલસેલ વેપારી રિતેશ નાગડાની સીટ પાસે રહેલી હૅન્ડબૅગ ચાલુ ટ્રેનમાંથી ચોરાઈ ગઈ હતી. બૅગમાં સવા લાખ રૂપિયા રોકડા, ૮૦ હજાર રૂપિયાના આઇફોન સહિત ગ્રુપના લોકોના ટ્રાવેલિંગના પૈસા હતા એ આખી બૅગ જ ચોરાઈ ગઈ હતી. મામલો વધ્યો અને એમાં રેલવેના સ્ટાફની લાપરવાહી પણ જોવા મળી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે અને કચ્છ જનજાગૃતિ અભિયાન દ્વારા આ મુદ્દાને ઉપાડવામાં આવ્યો હોવાથી ગઈ કાલે સેન્ટ્રલ રેલવેના અધિકારીઓની પણ તેમણે મુલાકાત લઈને નિવેદનપત્ર સોંપ્યો હતો.
આ સંપૂર્ણ બનાવ વિશે માહિતી આપતાં રિતેશ નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ૩૫ જણનું ગ્રુપ ટૂરથી પાછું ૧૨૬૧૭ મંગલા લક્ષદ્વીપ એક્સપ્રેસ પકડીને મુંબઈ આવી રહ્યું હતું. ગુરુવારે સવારે ચાર વાગ્યે મારી બૅગમાં રહેલા મોબાઇલનું અલાર્મ વાગ્યું હતું. એને બંધ કરતાં સવાચાર વાગ્યે ભાભીના મોબાઇલનું અલાર્મ વાગ્યું હતું એથી એ બંધ કરવા જતાં મારી હૅન્ડબૅગ જગ્યાએ ન હોવાનું જણાયું હતું એથી હું ચિંતામાં ઊભો થઈ ગયો અને બધું તપાસવા લાગતાં બૅગ ચોરાઈ હોવાનું જણાયું હતું. બૅગમાં બધા પ્રવાસીઓના ટ્રાવેલિંગના જમા કરેલા પૈસા જે ટ્રાવેલવાળાને આપવાના હતા એ હતા અને મારો આઇફોન, આધાર અને પૅન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મારા થોડા પૈસા હતા. ધીરે-ધીરે મારા ગ્રુપના લોકો ઊઠી ગયા અને અમે બધા તપાસ કરતા હતા. તપાસ કરતાં જોયું તો એસી અને નૉન-એસીનું શટર જે રાતે ૧૦થી સવારે સાડાપાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવે છે એ ખુલ્લું હતું. સવારે ૪ વાગ્યે ચાય-ચાય બોલતી વ્યક્તિ કોચમાં ફરી રહી હતી. એટલી વહેલી સવારના ચાયવાળા એસી કોચમાં આવતા નથી. રેલવેના કેટરિંગવાળાને બોલાવતાં તેમણે કહ્યું કે અમારા લોકો સવારે છ વાગ્યા પછી જ આવે છે. એથી અમને શંકા ગઈ કે કદાચ તે ચાયવાળાએ જ બૅગ ચોરી હશે. મડગાંવ સ્ટેશને ઊતરીને ત્યાં રહેલા ટીસી સાથે વાત કરી, તેણે કંઈ બરાબર જવાબ ન આપ્યો અને આરપીએફને વાત કરો એવું કહી રવાના કરી દીધા. ત્યાં રહેલી ઑફિસમાં એક ફરિયાદ-બુકમાં અમારી ફરિયાદ લખવામાં આવી હતી. ટ્રેનમાં અમે પેન્ટ્રી મૅનેજર અને સુપરવાઇઝરને બોલાવ્યા અને આરઆઇસીટીસીની કમ્પ્લેન્ટ-બુક માગી, પરંતુ તેઓ એ આપવા તૈયાર જ નહોતા. રેલવેનો સ્ટાફ દરેક મિનિટે અલગ જવાબ આપવા લાગ્યો હોવાથી અન્ય પ્રવાસીઓએ વિડિયો ઉતારવા લાગતાં એ લોકો ગભરાઈ ગયા હતા.’