20 વર્ષ બળાત્કાર : નરેન્દ્ર મહેતા, કૉર્પોરેટર થરથરે સામે ગુનો
ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા.
મીરા-ભાઈંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને બીજેપીના એક નગરસેવક સામે બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી અને જાતિવાચક અપશબ્દો કહીને અપમાન કરવા સહિતની ફરિયાદ બીજેપીની એક નગરસેવિકાએ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદીએ આરોપી નરેન્દ્ર મહેતાએ પોતાની સાથે લગ્ન કરવાનો અને તેના થકી પુત્ર હોવાનો દાવો પણ કર્યો છે. મામલો વિધાનસભામાં ગાજ્યા બાદ નગરસેવિકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી. આરોપી નરેન્દ્ર મહેતા અને સહઆરોપી નગરસેવક સંજય થરથરે ફરાર થઈ ગયા છે.
મીરા-ભાઈંદરની ૧૪૫ વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને બીજેપીના નગરસેવક સામે બીજેપીની નગરસેવિકાએ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે વહેલી સવારે બળાત્કાર, ધમકી, જાતિવાચક શબ્દ કહીને અપમાન કરવા સહિતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને આરોપીઓ સામે આઇપીસીની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ફરિયાદી નગરસેવિકાએ પોતાની ફરિયાદમાં નોંધ્યું છે કે તે પરિણીત હોવા છતાં પતિ સાથેના સંબંધ ખરાબ થતાં પોતાનાં માતા-પિતા સાથે રહીને ક્લબમાં જૉબ કરતી હતી ત્યારે તેની ઓળખાણ ક્લબના મૅનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર મહેતા સાથે ૧૯૯૯માં થઈ હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં તેમણે ૧૩ જૂન ૨૦૦૧ના રોજ દહાણુમાં મહાલક્ષ્મી મંદિરમાં છૂપી રીતે લગ્ન કર્યાં હતાં.
નગરસેવિકાએ ફરિયાદમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મહેતા સાથેનાં લગ્નથી તે ૨૦૦૨માં પ્રેગ્નન્ટ થઈ હતી અને બાદમાં ૨૨ માર્ચ ૨૦૦૩ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન નરેન્દ્ર મહેતાએ પોતાને હડધૂત કરીને ૧૬ જાન્યુઆરી ૨૦૦૩માં સુમન મહેતા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. એ પછી પોતાની સાથેના સંબંધ નરેન્દ્ર મહેતાએ કાપી નાખ્યા હતા. જોકે ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણીમાં મહેતાએ પોતાના માટે કામ કરવાનું કહેતાં પોતે કામ કરવાનું સ્વીકાર્યું હતું. પોતે લગ્ન બાબતે અને પુત્રને પોતાનું નામ આપવા વિશે અનેક વખત કહ્યા બાદ પણ ‘તું નીચલી જાતની છે એટલે લગ્ન જાહેર ન કરી શકાય. તું વધારે નાટક કરીશ તો તને અને પુત્રને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. એટલું જ નહીં, હું કહું ત્યારે તારે મારી પાસે આવી જવાનું, હું જે કહું તે તારે કરવા દેવાનું એમ તેઓ કહેતા. નરેન્દ્ર મહેતાનું રાજકીય કદ વધારે હોવાથી પોતે તેનો સામનો નહોતી કરી શકતી અને તેને તાબે થઈ જતી હતી. આવી સ્થિતિ ૨૦૧૯ સુધી ચાલ્યા બાદ તેના સાથી અને બીજેપીના નગરસેવક સંજય થરથરેએ પણ પોતાને ધમકાવવા લાગતાં આખરે મેં બન્ને સામે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હોવાનું નગરસેવિકાએ ફરિયાદમાં નોંધ્યું છે.
આ મામલાની તપાસ થાણે ગ્રામીણ પોલીસના મીરા રોડ વિભાગના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (ડીવાયએસપી) શાંતારામ વળવીને સોંપવામાં આવી છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે નરેન્દ્ર મહેતા અને સંજય થરથરે સામે એફઆઇઆર નોંધીને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેઓ ફરાર થઈ ગયા છે. આથી અમે તેમને શોધી રહ્યા છીએ.’