સંજય ગાંધી નૅશનલ પાર્કમાં સંભળાઈ સુલતાનની ત્રાડ
સુલતાન નામનો વાઘ
ગઈ કાલે ૨૬ ડિસેમ્બરે નાગપુરથી સુલતાન નામનો વાઘ મુંબઈના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં પહોંચી ગયો છે. સુલતાન એ કુખ્યાત પામેલી નરભક્ષી T-3 વાઘણનું બચ્ચું છે જેને વન વિભાગના અધિકારીઓએ જંગલમાંથી પકડી પાડ્યું હતું.
નાગપુરના ગોરીવાડા પ્રાણી સંગ્રહાલયમાંથી આ પાંચ વર્ષના નર વાઘને લાવવામાં આવ્યો છે. નાગપુરથી મુંબઈનું અંતર તેણે બે દિવસમાં કાપ્યું. કુલ ૮૦૦ કિલોમીટરના આ પ્રવાસમાં સમયાંતરે રોકાણ પણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સુલતાન અત્યારે હેલ્ધી છે અને માનસિક રીતે કોઈ જ દબાવ કે તણાવ હેઠળ નથી. એને અહીં બીજલી, મસ્તાની અને લક્ષ્મી સાથે પ્રજનન કરવા માટે લાવવામાં આવ્યો છે. જોકે હાલમાં એણે સ્થળાંતર કર્યું હોવાથી અને નાગપુરનું વાતાવરણ મુંબઈ કરતાં ઘણું જ અલગ હોવાથી એ અત્યારે પોતાની જાતને વાતાવરણમાં ઍડ્જસ્ટ કરી રહ્યો છે તેમ જ પિંજરામાંથી ત્રાડ પાડી રહ્યો છે. એની ત્રાડનો જવાબ પાર્કમાં મોજુદ અન્ય વાઘ પણ આપી રહ્યા છે. એને થોડા જ દિવસમાં ખુલ્લા વિસ્તારમાં મૂકવામાં આવશે.
સુલતાનને સેન્ટ્રલ ઝૂની પરવાનગી બાદ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝૂના ઑથોરિટીના ધોરણ અનુસાર સુલતાન માટે એક ખાસ પાંજરું તૈયાર કરાયું છે.