સારથિ બંધ નહીં થાય : અજિત પવારની આઠ કરોડનું ભંડોળ આપવાની જાહેરાત
અજિત પવાર
મહારાષ્ટ્રમાં મરાઠા તથા કણબીના કલ્યાણ માટે કાર્યરત બિનનફાકારી સરકારી કંપની સારથિને બંધ નહીં કરવામાં આવે એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે સંસ્થા માટે આઠ કરોડના ભંડોળની જાહેરાત કરવા દરમિયાન જણાવ્યું હતું. સંસ્થાની સ્વાયત્તતા અખંડિત રહેશે એની ખાતરી આપતાં પવારે જણાવ્યું હતું કે સંસ્થા પારદર્શી રીતે કામગીરી કરશે.
નાયબ મુખ્ય પ્રધાને મંત્રાલય ખાતે સંસદસભ્ય છત્રપતિ સંભાજી રાજેના નેતૃત્વ હેઠળ મરાઠા સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. આ બેઠકમાં સંભાજી રાજેને ત્રીજી લાઇનમાં બેસાડવાને લઈને પણ વિવાદ થયો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મંત્રીઓ નવાબ મલિક અને વિજય વડેટ્ટીવર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મરાઠાનું પ્રતિનિધિત્વ કરતાં કેટલાંક સંગઠનોએ તાજેતરમાં સંસ્થાની સ્વાયત્તતા જોખમમાં મુકાઈ હોવાનો અને સંસ્થામાં ભંડોળની અછત હોવાનો આક્ષેપ કર્યો હતો. છત્રપતિ શાહુ મહારાજ રિસર્ચ ટ્રેઇનિંગ ઍન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (સારથિ) મરાઠા, મરાઠા–કણબી, કણબી–મરાઠા, કણબી સમુદાયો તથા ખેતી પર નિર્ભર પરિવારોના સામાજિક-આર્થિક તેમ જ શૈક્ષણિક વિકાસ માટે સંશોધન, નીતિ હિમાયત, તાલીમ વગેરે માટેની બિનનફાકારી સરકારી સંસ્થા છે.