મુંબઈ: કૅન્સર સામેની લડાઈમાં એસજીએનપીનો આનંદ હાર્યો
છેલ્લા કેટલાક દિવસથી આનંદે ખાવાનું છોડી દીધું હતું
કૅન્સરથી લડી રહેલો એસજીએનપીનો ૧૦ વર્ષનો વાઘ ‘આનંદ’ લાંબા સમય સુધી રોગ સામે લડત આપી ગઈ કાલે વહેલી સવારે મૃત્યુ પામ્યો હતો.
એસજીએનપીના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમને જણાવતાં દુઃખ થાય છે કે બસંતી અને પલાશથી જન્મેલા એસજીએનપીના ૧૦ વર્ષના વાઘ આનંદનું કૅન્સરની બીમારીથી મૃત્યુ થયું છે. આનંદને અસાધારણ પ્રકારનું જીવલેણ કૅન્સર થયું હતું. બૉમ્બે વેટરિનરી કૉલેજના પેથોલૉજી વિભાગે આનંદનું પોસ્ટમૉર્ટમ કર્યું હતું. બીમારીને કારણે આનંદના વજનમાં પણ સારો એવો ફરક પડ્યો હતો. ૨૦ માર્ચથી આનંદની કિડની ફેલ થઈ ગઈ હોવાનું નિદાન કરાયું હતું. મુંબઈ વેટરિનરી કૉલેજના વરિષ્ઠ પશુઉપચારકો આનંદની તબિયતનું ધ્યાન રાખી રહ્યા હતા. છેલ્લા ૧૦ દિવસથી આનંદ સરખું ભોજન નહોતો કરી શકતો, છેવટે બીમારીને કારણે ગઈ કાલે વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
નિયત પ્રોટોકૉલ મુજબ પોસ્ટમૉર્ટમ પરીક્ષણ પછી આનંદના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.