સાંઈબાબા જન્મસ્થળ વિવાદમાં પાથરીએ મુખ્ય પ્રધાનની વિકાસની ડીલને નકારી
ઉદ્ધવ ઠાકરે
સાંઈબાબાના જન્મસ્થળ વિશે ચાલી રહેલા વિવાદનો અંત આણવાના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સઘળા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા છે, કારણ કે પાથરી મંદિરના ટ્રસ્ટીઓ ઇચ્છે છે કે સાંઈબાબાનો જન્મ વાસ્તવમાં અહીં થયો હતો, એ તથ્ય પ્રસ્થાપિત કરવા માટે તેઓ એક રિસર્ચ ટીમ નિયુક્ત કરે. તેમણે સોમવારે ઑફર કરવામાં આવેલી સમાધાનની દરખાસ્તને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
સરકાર દ્વારા પાથરીની માળખાકીય સુવિધાના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજૂર કરવામાં આવી, ત્યારથી શિર્ડી અને પાથરી વચ્ચે વિવાદ સર્જાયો છે.
ADVERTISEMENT
સોમવારે ઠાકરેએ શિર્ડી મંદિરના ટ્રસ્ટીઓને એ વાતે મનાવી લીધા હતા કે અવિકસિત પાથરીને ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સાંઈબાબા ત્યાં જન્મ્યા હતા એની સંમતિ સ્વરૂપે આપવામાં નથી આવી.
તેમણે જણાવ્યું હતું કે પાથરીને બહેતર માળખાકીય સુવિધાની જરૂર છે, કારણ કે એ એક ધર્મસ્થાન છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ એની મુલાકાત લે છે. શિર્ડીના લોકોએ મુખ્ય પ્રધાનની સ્પષ્ટતાનો સહર્ષ સ્વીકાર કરી લીધો છે.
પરંતુ, પાથરી મચક આપવા તૈયાર નથી. વિવાદ શા માટે હોવો જોઈએ? અમે અમારા શહેરના વિકાસ માટે નાણાંની માગણી ફક્ત એટલા માટે કરી હતી, કારણ કે સાંઈબાબાનો જન્મ અહીં થયો હતો. અમે જન્મસ્થળ તરીકેની દરખાસ્ત સુપરત કરી હતી, અન્ય કશા જ હેતુ માટે નહીં એમ પાથરી મંદિરના ટ્રસ્ટી બાબાજાની દુરાનીએ જણાવ્યું હતું. એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે સોમવારે સીએમ અને વરિષ્ઠ પ્રધાનો સાથે શિર્ડીના રહેવાસીઓ અને રાજકારણીઓની જે બેઠક યોજાઈ હતી એમાં પાથરીના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
અમે આગામી પગલું નક્કી કરવા માટે આજે પાથરીમાં મળીશું. અમે ઇચ્છીએ છીએ કે સીએમ ઐતિહાસિક તથ્યોનું સંશોધન કરવા માટે અને સાંઈબાબાનો જન્મ ક્યાં થયો હતો એ જાણવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરે. અમારી પાસે પુરાવા છે જે નિષ્ણાતો સમક્ષ રજૂ કરી શકાય એમ છે એમ તેમણે પાથરીમાં જણાવ્યું હતું.