મુંબઈ: ઝૂંપડપટ્ટીનાં નાળાં પાસે ક્લીન-અપ માર્શલોને ફરજ પર રહેવાનો આદેશ
નાળાં
મોન્સૂનમાં મુંબઈ શહેર પાણીમાં નહીં ડૂબે એવા દર વર્ષે પાલિકા દ્વારા કરવામાં આવતા દાવા છતાં પરિસ્થિતિ અને ચિત્ર જુદાં જ રહેતાં હોય છે અને મુંબઈ આખું પાણી પાણી થઈ જતું હોય છે. એમાં પણ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આજે પણ પૂર જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ પાલિકા આ વર્ષે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવા નથી માગતી.
શહેરમાં ઝૂંપડપટ્ટી આવેલી છે અને એ જગ્યાએ જ સૌથી વધારે કચરો થતો હોય છે. ઝૂંપડપટ્ટીની નજીક આવેલાં નાળાંમાં ઝૂંપડપટ્ટીવાસીઓ હંમેશાં કચરો ઠાલવતા હોય છે અને એને કારણે ડ્રેનેજ સિસ્ટમ જૅમ થઇ જતી હોવાનું પાલિકાના કમિશનરે તારણ કાઢ્યું હતું. આ જ કારણથી પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલાં નાળાં નજીક ક્લીન-અપ માર્શલોની ડ્યૂટી રાઉન્ડ ધ ક્લોક કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈ: BMC બ્રિટિશ કાળની પીવાના પાણીની 21 પરબ ફરી સક્રિય બનાવશે
આખા મોન્સૂન દરમ્યાન આ ક્લીન-અપ માર્શલોને અહીં ફરજ બજાવવાનો આદેશ કમિશનરે આપ્યો છે. આ ઉપરાંત જે ઠેકાણે મોટી ડ્રેનેજ આવેલી છે ત્યાં નેટ બેસાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. નાળાં કે ગટરમાં નાખવામાં આવતો મોટા ભાગનો કચરો દરિયામાં એકઠો થતો હોવાથી કમિશનરે ઉક્ત આદેશ આપ્યો હતો.