જળાશયોમાં માત્ર ૩૩ ટકા પાણી: મુંબઈમાં 5મી ઑગસ્ટથી 20 ટકા પાણી કાપ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં છેલ્લાંક કેટલાંક દિવસથી સારો વરસાદ પડી રહ્યો હોવા છતાં મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં જોઈએ એટલો વરસાદ ન થયો હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ આજથી શહેરમાં ૨૦ ટકા પાણી કાપ મૂક્યો છે.
એક રિપોર્ટ મુજબ મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં અત્યારે ૪.૯ મિલિયન લિટર એટલે કે શહેરની જરૂરિયાતનું માત્ર ૩૩ ટકા પાણીનો જથ્થો છે. આ સ્થિતિ વિશે મુંબઈ મહાનગરપાલિકામાં કમિશનર સ્તરે વિચારણા કરાયા બાદ પાંચમી ઑગસ્ટથી ૨૦ ટકા પાણી કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસાના બે મહિના પસાર થઈ ગયા હોવા છતાં જળાશયોમાં પાણી જમા થવું જોઈએ એટલું નથી થયું એ ચિંતાજનક છે. મુંબઈમાં છેલ્લાં કેટલાંક દિવસથી સારો વરસાદ પડી રહ્યો હોવાથી તુલસી તળાવ ઓવરલફ્લો થયું છે, પરંતુ અન્ય જળાશયોમાં માત્ર ૩૩ ટકા પાણી જ છે.
ભાત્સા, તાનસા, તુલસી, વિહાર, અપ્પર વૈતરણા, મિડલ વૈતરણા અને મોડક સાગર વગેરે સાત જળશાયોમાંથી મુંબઈમાં પાણી સપ્લાય થાય છે. જુલાઈના અંત સુધીમાં ૨૦૧૮ અને ૨૦૧૯માં આ જળાશયોમાં અનુક્રમે ૮૩ અને ૭૮ ટકા પાણીનો જથ્થો હતો, જ્યારે આ વર્ષે ૪.૯૦ મિલિયન લિટર એટલે કે માત્ર ૩૩ ટકા જ પાણી જમા થયું છે.
હવામાન ખાતાએ આગામી સમયમાં મુંબઈ, થાણે અને કોંકણ પ્રાંતમાં સારા વરસાદની આગાહી કરી છે એટલે જળાશયના કૅચમેન્ટ એરિયામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આથી આ જળાશયોમાં પાણીની સપાટીમાં સુધારો થઈ શકે છે.