પ્રકાશ બોરીચાને 22,૦૦૦ વૉલ્ટનો શૉક લાગ્યો હોવા છતાં બચી ગયા...
પ્રકાશ બોરીચાને 22,૦૦૦ વૉલ્ટનો શૉક લાગ્યો
નાલાસોપારામાં છેલ્લાં ૧૭ વર્ષથી ગુજરાતીઓના રામદેવપીર મંડળ દ્વારા ૩ દિવસના જલ-જીલણી અગિયારસના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં નોમની મુખ્ય ધજા લઈને પાલખીયાત્રામાં જોડાયેલા કળવાના રહેવાસી પ્રકાશ બોરીચા મેટલના સળિયા પર લગાવેલી ધજા લહેરાવતા હતા ત્યારે મંદિર પાસેના ટ્રાન્સફૉર્મરને ધજા અડી જતાં તેમને મોટો શૉક લાગ્યો હતો છતાં ધજાને લીધે તેઓ બચી ગયા હતા. ધજાના બે કટકા થઈ ગયા હતા અને મેટલનો સળિયો તેમની છાતીમાં ઘૂસી ગયો હતો અને દોઢ ઇંચ જેટલું કાણું પડી ગયું હતું.
આ ટ્રાન્સફૉર્મરને ધજાનો એક ભાગ અડી જતાં જોરદાર શૉર્ટ-સર્કિટ થતાં પ્રકાશભાઈને જોરદાર કરન્ટ લાગ્યો હતો. તેમને હાથ અડાડતાં બીજાને પણ કરન્ટ લાગતો હતો એથી ભારે મુશ્કેલીએ તેમને ગંભીર હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મુશ્કેલ છે એવું કહ્યું હતું. જોકે સારવાર દરમ્યાન તેમના પર પૉઝિટિવ અસર થઈ અને તેમનો જીવ બચી ગયો હતો. હાલમાં તેઓ મુંબઈની જેજે હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.
ADVERTISEMENT
આ બનાવ વિશે માહિતી આપતાં પ્રકાશભાઈ બોરીચાના નાલાસોપારામાં રહેતા જમાઈ સંજય સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નાલાસોપારા-ઈસ્ટમાં સંયુક્તનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નોમના દિવસે રામદેવપીરને ધ્વજા ચડાવવાની પ્રથાને અનુસરવામાં આવી હતી. રામદેવપીરના કોટવાળ અને કળવાના રહેવાસી પ્રકાશ બોરીચા પણ જોડાયા હતા. મહેશ પાર્કમાં આવેલા શ્રી રામદેવપીરના મંદિરે ૨૦૦થી વધુ લોકો ધ્વજા લઈને વાજતેગાજતે જઈ રહ્યા હતા.
મંદિરની બાજુમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફૉર્મર છે અને ત્યાં લગભગ ૨૨,૦૦૦ વૉલ્ટથી પણ વધારે પાવર પસાર થાય છે. આ ટ્રાન્સફૉર્મરમાં અજાણતાં ધ્વજાનો મેટલનો પાઇપ અડી જતાં જોરદાર શૉર્ટ-સર્કિટ થઈ હતી. એ ધજાના બે ભાગ થઈ ગયા અને પ્રકાશભાઈને જબરદસ્ત ઝાટકો વાગતાં તેમની છાતી પાસે લગભગ દોઢેક ઇંચ જેટલો ખાડો પડી ગયો અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. એ દરમ્યાન મંદિરના પૂજારી તેમની મદદે ગયા તો તેમને પણ ઝટકો વાગતાં તેઓ નીચે પડી ગયા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ધજાના સળિયામાંથી અને પ્રકાશભાઈને હાથ અડાડતાં કરન્ટ લાગતો હતો.’
તેમને નવજીવન મળ્યું છે એમ કહેતાં સંજયભાઈએ કહ્યું હતું કે ‘ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી, પરંતુ તેમણે બચવાના ચાન્સ ઓછા હોવાની વાત કરતાં અમે ચિંતામાં મુકાયા હતા, પરંતુ તેમણે ટ્રીટમેન્ટને સારો રિસ્પૉન્સ આપ્યો હતો અને થોડા સમય બાદ તેઓ હોશમાં આવ્યા હતા. દરમ્યાન અમે તેમને મળવા ગયા, પરંતુ તેમની હાલત જોઈને અમને લાગ્યું કે હવે તેમના બચવાના કોઈ ચાન્સ નથી અને બેથી ત્રણ કલાક કદાચ કાઢશે. સારવાર વખતે ડૉક્ટરે સીટીસ્કૅન કર્યું અને એમાં અંદરથી કોઈ નુકસાન થયું હશે એવી શક્યતા હતી, પરંતુ સ્કૅનનો રિપોર્ટ આવતાં એમાં બધું નૉર્મલ હોવાનું સામે આવતાં ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહાવિતરણના અધિકારીઓ આવ્યા ત્યારે તેમને પણ નવાઈ લાગી હતી, કારણ કે તેમનો એક કર્મચારી આવો કરન્ટ લાગતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પ્રકાશભાઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પરિવારજનો અને અમુક સંસ્થા તેમની મદદે આવી છે. ગઈ કાલે તેમને જેજે હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.’
નાલાસોપારામાં ઝટકાએ અનેકના જીવ લીધા..
મહાવિતરણના નાલાસોપારામાં અનેક જગ્યાએ ટ્રાન્સફોર્મર ખુલ્લા પડ્યા છે જેથી અનેક વખત કરન્ટ લાગવાથી લોકોના જીવ ગયા છે. અગાઉ મહાવિતરણના ખુલ્લા પડેલાં ડીપી બૉક્સમાંથી કરન્ટ લાગતાં નાલાસોપારાના કચ્છી પરિવારે ઘરના આધારસ્તંભ ૪૮ વર્ષના તુષાર હરખચંદ રાંભિયા ગુમાવ્યા હતા. એ પહેલાં ગણપતિ પંડાલમાં ઈલેક્ટ્રિક કરન્ટ લાગતાં ૨૯ વર્ષના કચ્છી યુવાન મહેન્દ્ર વેલજી નંદુનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : કૅબિનેટની બેઠકમાં ૩૦૦૦ કરોડના ખર્ચે વૉટર ગ્રિડ પ્રોજેક્ટ પાસ કરાયો
મહાવિતરણ શું કહે છે?
આ વિશે મહાવિતરણના નાલાસોપારા-ઈસ્ટના આચોલે ઝોનના અધિકારી નીતિન શંખ્યેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બનાવ વિશે જાણ થતાં મેં કિરણ માને નામના એન્જિ નિયરને ઘટનાસ્થળે અને હૉસ્પિટલ મોકલ્યા હતા. જોકે આ બનાવમાં મહાવિતરણ પીડિતને કોઈ વળતર આપી શકે એમ નથી, કારણ કે પીડિત મેટલનો રોડ સાથેનો ફ્લૅગ ઉપર ફેરવી રહ્યા હતા ત્યારે ટ્રાન્સફૉર્મરની બધી લાઇનો ચાલુ હતી. ઉપર ફેરવી રહ્યા હતા ત્યારે ફ્લૅગનો સંપર્ક ત્યાંના ઝમ્પર સાથે ટકરાતાં ઇન્ડક્શન નિર્માણ થયું હતું, જેને કારણે ટ્રાન્સફૉર્મરનો ૨૨,૦૦૦ વૉલ્ટનો કરન્ટ ફ્લૅગના કપડા પર આવ્યો હતો જેથી જોરદાર ઝટકો લાગતાં પીડિતના હાથમાંથી સળિયો છૂટી જતાં તેમને છાતી પાસે માર વાગ્યો અને તેઓ બચી ગયા. જોકે આવો કરન્ટ લાગે તો માણસનું બચવું મુશ્કેલ હોય છે પરંતુ ફ્લૅગના કપડાને કારણે તેઓ બચી ગયા હતા.’