માતોશ્રી બહાર આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન દર્શાવતાં પોસ્ટરો લાગ્યાં
માતોશ્રી બહારના પોસ્ટરો
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામનાં બે અઠવાડિયાં બાદ પણ સરકારગઠન માટે બીજેપી અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન માતોશ્રીની બહાર શિવસેનાએ પોસ્ટર લગાવ્યાં છે જેમાં લખ્યું છે અમારા ધારાસભ્ય, અમારા મુખ્ય મંત્રી.
પ્રાપ્ત માહિતી મુજબ, માતોશ્રીની બહાર પોસ્ટર શિવસેનાના કૉર્પોરેટર હલીમ ખાને લગાવ્યાં છે. જોકે શિવસેનાના વલણ પરથી લાગી રહ્યું છે કે શિવસેના હજી પણ ૫૦-૫૦ ફૉર્મ્યુલા પર અડગ છે. શિવસેનાના જણાવ્યા મુજબ ગઠબંધનની શરતોનું પાલન કરવામાં આવે. ચૂંટણી પહેલાં વાત થઈ હતી કે જો ગઠબંધન સરકાર બને છે તો અઢી વર્ષ માટે બીજેપીનો મુખ્ય પ્રધાન રહેશે અને અઢી વર્ષ માટે શિવસેનાનો મુખ્ય પ્રધાન રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મહાને પગલે મહારાષ્ટ્ર, ગોવાના ભાગોમાં 7 નવેમ્બર સુધી વરસાદની શક્યતા
સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે બહાર આવીને જણાવ્યું હતું કે તેઓ માત્ર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે કેન્દ્રની મદદ માગવા આવ્યા છે. તેમણે સત્તાના સમીકરણ અંગે મૌન પાળ્યું હતું. આ ઉપરાંત મોડી સાંજે એનસીપીના નેતા શરદ પવારે કૉન્ગ્રેસ અધ્યક્ષાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.