કાંદો સેન્ચુરી ફટકારશે: ટૂંક સમયમાં પહોંચી શકે છે 100 રૂપિયાને પાર
કાંદા
કમોસમી વરસાદને કારણે હજારો એકર પર ઊગેલો પાક નાશ પામી રહ્યો છે, ત્યારે કાંદા તથા અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચવાનું શરૂ થઈ ગયું છે. કાંદાનો ભાવ હાલમાં કિલોદીઠ ૭૦થી ૯૦ રૂપિયાની વચ્ચે છે તે ટૂંક સમયમાં જ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.
કારણ નાશિક, અહેમદનગર અને પુણેથી દર મહિને અગાઉ ૩૦ ટન શાકભાજી એપીએમસી બજારો સુધી પહોંચતી હતી તેની તુલનામાં હાલમાં માત્ર બેથી ત્રણ ટન શાકભાજી જ બજારો સુધી પહોંચી શકે છે. તેમ છતાં સરકારે હજી સુધી કોઈ દરમ્યાનગીરી કરી નથી અને ખેડૂતોનો સંપર્ક સાધ્યો નથી.
ADVERTISEMENT
એપીએમસી માર્કેટના અધિકારીઓના મતાનુસાર સપ્ટેમ્બરમાં કિલોદીઠ ભાવ ૬૦-૭૦ની વચ્ચે હતા, પરંતુ તે હવે વધીને ૯૦ રૂપિયા થયા છે અને હજી પણ ઊંચા જાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર દંગલ : હૉર્સ ટ્રેડિંગનો ડર, શિવસેનાના ધારાસભ્યો હોટેલમાં કેદ
કલ્યાણ એપીએમસી માર્કેટના સિનિયર અધિકારી રવીન્દ્ર ગોડવિન્ચેના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અમને નાશિક અને પુણેથી કાંદા નથી મળી રહ્યા, જેથી આ મહિને અમે ફક્ત બે ટન જથ્થો જ પ્રાપ્ત કર્યો છે. માત્ર ખેડૂતો જ નહીં, બલ્કે ટ્રેડર્સ પણ તેને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. મોટાભાગના ખેડૂતો હવે જૂનો સ્ટૉક વેચી રહ્યા છે, કારણ કે વરસાદે નવા જથ્થાને નુકસાન પહોંચાડ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.