ગ્રાન્ટ રોડના બિલ્ડિંગમાં લાગેલી આગમાં ગૂંગળામણને લીધે યુવકનું મોત
મુંબઈના ગ્રાન્ટ રોડ પર લાગી આગ
ગિરગામ પાસે આવેલા ગ્રાન્ટ રોડમાં પદમજી સ્ટ્રીટમાં આવેલી છ માળની બિલ્ડિંગ આદિત્ય આર્કેડમાં ગઈ કાલે સવારે છ વાગે આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાની થોડી મિનિટો બાદ ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ સાથે ઍમ્બ્યુલન્સ તથા ગ્રાન્ટ રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનામાં જાળી કાપીને નવ વ્યક્તિઓને બચાવી લેવામાં આવી હતી અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે જખમી થઈ હોવાથી તમામ ઈજાગ્રસ્તોને શહેરની જે જે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એક ૨૨ વર્ષના ઉત્તમકુમારનું ગૂંગળામણનાં કારણે મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં ૪૦ વર્ષના દિલીપ ચૌધરી, ૨૩ વર્ષના અશોક ચૌધરી અને ૨૩ વર્ષના ભરત ચૌધરીનો સમાવેશ થાય છે. જો કે, ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણવા મળ્યું નથી. લોકલ પોલીસે ઘટના સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આગ પર કાબૂ મેળવવા સવારે છ વાગ્યાથી ફાયરબ્રિગેડના ૧૫૦ જવાનો અને અધિકારીઓ કામે લાગ્યા હતા. આગ પર સાંજે છ વાગે કાબૂ મેળવવામાં આવ્યો હતો.