બીએમસીની કાર્યવાહીના કારણે ટીએમટીના કર્મચારીઓ પરેશાન
ખુલ્લામાં બેસી છુટ્ટાની ગણતરી કરી રહેલા કર્મચારીઓ.
પૂરની સમસ્યાને પગલે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા મુલુંડનું મહત્ત્વનું બસ જંક્શન અને કૅશ ઑફિસ ગયા સપ્તાહે તોડી પાડવામાં આવતાં થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી)ના કર્મચારીઓ આકરા તાપ નીચે કામ કરી રહ્યા છે. વેઇટિંગ એરિયા પણ ધરાશાયી કરી દેવાયો હોવાથી ઘણા પ્રવાસીઓએ પણ તડકામાં બેસવું પડે છે. આ બસ જંક્શન થાણે, નવી મુંબઈથી ભિવંડી સુધી ૧૦ કરતાં વધારે રૂટ પર સેવા પૂરી પાડે છે. બે લાખ કરતાં વધુ મુસાફરો એનો ઉપયોગ કરે છે.
ટીએમટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટીએમટી એક જાહેર પરિવહન સેવા છે અને એની બહેતર કાળજી લેવી જોઈએ. અમે અહીં તડકામાં બેસીને કામ કરવા લાચાર છીએ. બીએમસીએ નોટિસ ફટકારી હતી અને તેની ટીમે અહીં આવીને ટીએમટીનાં તમામ બાંધકામો ધ્વસ્ત કરી દીધાં હતાં.’
ADVERTISEMENT
એક બસ-કન્ડક્ટરે જણાવ્યા પ્રમાણે ‘પૈસાની ગણતરી, રોસ્ટર બદલવું, ડ્યુટી ચાર્ટનું વ્યવસ્થાપન કરવું, આ તમામ કાર્યો હવે રસ્તા પર થાય છે. આ ગેરવાજબી છે, કારણ કે બીએમસી પણ એક સરકારી સંસ્થા છે અને અન્ય સરકારી સંસ્થા સાથે તે કેવો વ્યવહાર રાખે છે, એ ઘણું અગત્યનું બની રહે છે. કર્મચારીઓ તથા મુસાફરો, બન્ને કષ્ટ વેઠી રહ્યા છે.’