મુંબઈ : પંકજા મુંડેને મળશે પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન
પંકજા મુંડે
બીજેપીના મહારાષ્ટ્ર એકમમાં રિસાયેલા નેતાઓ-કાર્યકરોને મનાવવા અને મહત્વાકાંક્ષીઓને સાચવી લેવા ઉપરાંત રાજ્યમાં ફરી સત્તા હાંસલ કરવાની તૈયારી માટે પક્ષ સંગઠનની નવરચના કરી છે. પક્ષના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે ૧૨ ઉપપ્રમુખો, છ મહામંત્રીઓ, ૧૨ મંત્રીઓ અને એક ખજાનચીની નવી ટીમની કરેલી જાહેરાતમાં ભૂતપૂર્વ પ્રધાન ચંદ્રકાંત બાવનકુળેને મહામંત્રી અને કેશવ ઉપાધ્યેને પ્રવક્તાના હોદ્દા આપવામાં આવ્યા છે. ખજાનચીપદે વિધાનસભ્ય મિહિર કોટેચાને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાનો એકનાથ ખડસે અને વિનોદ તાવડેને કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત રૂપે સામેલ કરવામાં આવ્યા છે.
૨૦૧૯ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલાં ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેને રાષ્ટ્રીય સ્તરે હોદ્દો આપવા ઉપરાંત રાજ્યની કોર કમિટીમાં પણ રાખવાની શક્યતા છે.
ADVERTISEMENT
એકનાથ ખડસેનાં પુત્રવધૂ રક્ષાને મંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. વિશ્વાસ પાઠકને મીડિયા સેલના વડા અને આશિષ કુલકર્ણીને સોશ્યલ મીડિયા સેલના વડાના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે.