મહારાષ્ટ્રથી ડેઇલી જતી ટ્રેનોને પશ્ચિમ બંગાળમાં નો એન્ટ્રી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી
દેશભરમાં કોવિડ-19 કેસોમાં વધારો નોંધાતાં મમતા બૅનરજીની આગેવાનીવાળી પશ્ચિમ બંગાળ સરકારે કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત એવાં મહારાષ્ટ્ર અને અન્ય ચાર રાજ્યોની દૈનિક ટ્રેનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચાર રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે જ્યાંથી પશ્ચિમ બંગાળ જતી ટ્રેનોને અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
રેલવેની સત્તાવાર નોંધ મુજબ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવના પત્રમાં જણાવાયું છે કે વધતા જતા કોવિડ-19ના ચેપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સીએસએમટી, અમદાવાદ-હાવડા અને હાવડા-અમદાવાદ સહિતના મુંબઈ સીએસએમટી-હાવડા, હાવડા-મુંબઈની દૈનિક ટ્રેનોને પ્રવેશ માટે પરવાનગી આપવા તૈયાર નથી. એના બદલે 1 જુલાઈથી આ ટ્રેનો હવે અઠવાડિયામાં ફક્ત એક જ વાર દોડશે. જેમણે અગાઉથી ટિકિટ બુક કરાવી હતી તેમને રીફન્ડ મળશે.
ADVERTISEMENT
ભારતીય રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી હતી ત્યારે પણ પશ્ચિમ બંગાળની સરકાર ભારતીય રેલવે સાથે વિવાદમાં ઊતરી હતી. મમતા બૅનરજીએ આ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ બોલાવી હતી અને કહ્યું હતું કે ભારતીય રેલવે હૉટસ્પૉટ વિસ્તારોમાંથી લોકોને મોટી સંખ્યામાં લાવી રહી છે, જે જાહેર આરોગ્યનો મોટો મુદ્દો છે.