મુંબઈ: બીએમસી હૉસ્પિટલ્સ હવે દર્દીને વળતર આપશે
નાયર હોસ્પિટલ
મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં સર્જાયેલી કોઈ હોનારતના કારણે જો દર્દીનો જીવ જશે કે ગંભીર રીતે ઘાયલ થશે તો હૉસ્પિટલમાંથી પરિવારજનોને હેલ્થ ઇન્શ્યૉરન્સ આપવામાં આવશે.
એક વર્ષ અગાઉ કેઈએમ હૉસ્પિટલમાં લાગેલી આગના કારણે બે મહિનાના બાળક પ્રિન્સ રાજભરનું મોત નીપજ્યું હતું. આ કેસમાં ડિસેમ્બર ૨૦૧૯માં જ મહાનગરપાલિકાએ પ્રિન્સનાં માતા-પિતાને ૧૦ લાખ રૂપિયા ભરપાઈ પેટે આપ્યા હતા. જોકે હવે આવો બનાવ ભવિષ્યમાં બનશે તો હૉસ્પિટલમાંથી જ લાઇફ ઇન્શ્યૉરન્સની રકમ મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. આ ઇન્શ્યૉરન્સનું પ્રીમિયમ રજિસ્ટ્રેશન-ફીમાં જ સામેલ કરવામાં આવશે એવી જાણકારી બીએમસીના સિનિયર અધિકારીએ
આપી હતી.
ADVERTISEMENT
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કેઈએમ હૉસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડિપાર્ટમેન્ટના આઇસીયુમાં આગ લાગી હતી જેમાં બે મહિનાના બાળક પ્રિન્સ રાજભરનું મોત નીપજ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘પાલિકાની હૉસ્પિટલમાં જો કોઈ હોનારત સર્જાશે અને એના કારણે દર્દીનું મોત નીપજશે તો હૉસ્પિટલમાંથી જ પરિવારજનોને ઇન્શ્યૉરન્સ આપવામાં આવે એવો પ્લાન અમે લાવી રહ્યા છીએ. આ માટે અમે વિવિધ ઇન્શ્યૉરન્સ કંપનીઓ સાથે વાત કરી રહ્યા છીએ. આ સ્કીમમાં શહેરની સાયન, કેઈએમ, કૂપર જેવી હૉસ્પિટલોને સમાવવામાં આવશે, જ્યાં દરરોજ ૪૨,૦૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે.
પાલિકાની ચાર હૉસ્પિટલમાં દરરોજ ૪૨,૦૦૦ દર્દીઓ સારવાર માટે આવે છે