Coronavirus Outbreak: મજૂરોનાં સ્થળાંતરથી મુંબઇની બેકરીઓ બંધ પડી રહી છે
ફાઇલ તસવીર
મુંબઇના બેકરી બિઝનેસ પર માઇગ્રન્ટ લેબરર્સ એટલે કે દાડિયા મજુરોનાં સ્થળાંતરને કારણે ભારે ફટકો પડ્યો છે. કોરોનાવાઇરસનો ફેલાવો અટકવાનું કામ નથી લેતો અને ભલભલાનાં ધંધાપાણી ઠપ થઇ રહ્યા છે. શહેરમાં બેકરી પ્રોડક્ટ્સની તંગી ખડી થાય તેવી પણ પુરી શક્યતાઓ છે. કુર્લા વિસ્તારની મેટ્રો બેકરીનાં માલિક હબીબ અન્સારી પાસે માણસો ન હોવાથી તે જાતે જ ટોસ્ટ અને ખારી બનાવે છે અને સાથે માત્ર બે મજુરો છે અને તેમનો દીકરો તેમને મદદ કરે છે.
તેમણે જણાવ્યું કે, “મેં મારી એક બેકરી તો સાવ બંધ જ કરી દીધી છે અને આ યુનિટ હું માત્ર ચાર લોકોથી ચલાવું છું. હું ચાર દાયકાથી આ બિઝનેસમાં છું પણ આવી હાલત કોઇ દિવસ નથી થઇ.”પીટીઆઇનાં એક રિપોર્ટ અનુસાર પહેલા પ્રતિ બેકરી રોજની 400-500 કિલોગ્રામ પ્રોડક્ટ બનતી હતી હવે તો થોડા કિલો જ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, “અમે લેબરર્સને કહ્યું કે તેઓ કામ છોડીને ન જાય પણ તેઓ માનવા તૈયાર નહોતા અને ટ્રક ડ્રાઇવરને બમણા પૈસા ચુકવીને પણ તેઓ ચાલ્યા ગયા.” મુંબ્રા, થાણેમાં બેકરી ધરાવતા ખુરશીદ અન્સારીએ કહ્યું કે, “આ વિસ્તારમાં સાતથી આઠ બેકરી બંધ થઇ ગઇ છે કારણકે મજુરો યુપી ચાલ્યા ગયા છે. પહેલા મારી બેકરીમાં રોજનાં 35 જણા કામ કરતા હવે તો એ બંધ થઇ ગઇ છે.” હારુન સિદ્દીક પહેલાં બેકરીમાં ઉત્પાદનો બનાવવા યિસ્ટ પુરી પાડતા, ગોરેગાંવમાં બેકર્ઝ ફ્રેશ ચલાવતા મુશ્તાક ખાનનું કહેવું છે કે પ્રોડક્શન ન થઇ શકતું હોવાને કારણે ગ્રાહકોની માંગને પણ નથી પહોંચી વળાતું અને જો કામદારો નહીં મળે તો કોઇપણ સંજોગોમાં તે નહીં કરી શકાય.