મુંબઈ : વરસાદ બંધ થયો હોવા છતાં જળાશયોની સપાટી વધી
જળાશય
છેલ્લા બે દિવસમાં શહેરમાં છૂટાછવાયાં ઝાપટાં પડ્યાં હતાં જેમાં તમામ તળાવોના કૅચમેન્ટ વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. પર્ક્યુલેશન (અનુસ્રાવણ)ને કારણે પાણીનો જથ્થો થોડો વધ્યો છે.
ત્રણ દિવસના મધ્યમ વરસાદ પછી તળાવોના કૅચમેન્ટ વિસ્તારો હજી ચોમાસાના બીજા ઝાપટાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોઈ પણ તળાવમાં બે મિમીથી વધુ વરસાદ થયો નહોતો, પરંતુ પર્ક્યુલેશનને કારણે જળસ્તરમાં વધારો થયો હતો. એનો અર્થ એ છે કે વરસાદી પાણી આજુબાજુની પહાડીઓમાં વહીને તળાવમાં ભરાઈ જળસ્તરમાં વધારો કરે છે. અગાઉના દિવસોમાં કેટલો વરસાદ પડ્યો એના આધારે પર્ક્યુલેશનની અસરનું પ્રમાણ જાણી શકાય છે. કુલ પાણીનો સંગ્રહ હવે ૭,૫૧,૮૦૬ મિલ્યન લિટર છે જે તમામ તળાવોની કુલ ક્ષમતાનો અંદાજે ૫૨ ટકા છે. ગયા વર્ષે પાણીનો સ્ટૉક ૯૧.૪૪ ટકા હતો અને ૨૦૧૮માં સમાન દિવસે સ્ટૉક ૮૫.૭૬ ટકા હતો. 2018માં ઑક્ટોબરના અંતમાં તળાવોમાં 10 ટકા ઓછું પાણી હોવાથી નવેમ્બરમાં પાણીકાપ લાગુ કરવામાં આવ્યો હતો.