કોકણ રેલવેની ટ્રેનોને ભાંડુપ સ્ટેશને સ્ટૉપેજ અપાવવા મનોજ કોટક સક્રિય
મનોજ કોટક
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઈશાન મુંબઈની બેઠક પરથી ચૂંટાયેલા સંસદસભ્ય મનોજ કોટક કોકણ રેલવેની ટ્રેનોને ભાંડુપ સ્ટેશને સ્ટૉપેજ અપાવવાની જૂની માગણીને પૂરી કરાવવા સક્રિય થશે. બીજેપીના નેતા મનોજ કોટક હવે પક્ષની સરકારની બીજી ટર્મમાં પોતે સંસદમાં હોવાથી અને મુંબઈના પીયૂષ ગોયલ રેલવેપ્રધાન હોવાથી પ્રયાસોને સફળતા મળવાની અપેક્ષા રાખે છે.
કોકણ રેલવેની ટ્રેનોને ભાંડુપ સ્ટેશને હૉલ્ટ આપવાની શક્યતા બાબતે સર્વેક્ષણ કરાવવા અને અન્ય કાર્યવાહી માટે મધ્ય રેલવે સાથે પત્રવ્યવહાર મનોજ કોટકે શરૂ કર્યો છે. મનોજ કોટકે જણાવ્યું હતું કે ‘સર્વેક્ષણ ઉપરાંત ટ્રેનો થોભાવવા માટે પ્લૅટફૉર્મ લંબાવવાના સિવિલ વર્ક જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવાની રહેશે. અત્યારે ફક્ત પ્રયાસો ચાલે છે. આ બાબત હજી પ્રાથમિક તબક્કામાં છે. હજી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આ માગણી મંજૂર કરાવવામાં મને સફળતા મળવાની આશા રાખું છું.’
ADVERTISEMENT
આ પણ વાંચો: આ બાબતમાં મુંબઈ નંબર 1, પણ કારણ જાણીને ચોંકી જશો
દરમ્યાન બીજેપીના એક સ્થાનિક નેતાએ સવારે ઊપડતી મુંબઈ-ગોવા મંડોવી એક્સપ્રેસને ભાંડુપ સ્ટેશને સ્ટૉપેજના ટૂંક સમયમાં આરંભની જાહેરાત કરતાં પોસ્ટર્સ ઈશાન મુંબઈમાં લગાડવાનું શરૂ કરી દીધું છે. ભાંડુપ અને કાંજુર માર્ગમાં કોકણના વતનીઓની ભરપૂર વસ્તી હોવાથી મનોજ કોટકની આ માગણી ઘણી મહત્વપૂર્ણ છે. જોકે ભાંડુપ-કાંજુર માર્ગથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ મોટી સંખ્યામાં રવાના થાય છે, પરંતુ રજાઓમાં વતન જવા ઇચ્છતા સ્થાનિક લોકોને કોકણની ટ્રેનો પકડવા માટે થાણે, દાદર કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જવાની ફરજ પડે છે.