આખરે અકોલાના ગામમાં અંધકાર દૂર થયો, વીજળી આવી
અકોલાના ગામમાં અંધકાર દૂર થયો
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના નવી તલાઈ નામના આદિવાસી ગામમાં પ્રથમ વખત વીજળીનું આગમન થતાં ગામના રહેવાસીઓમાં હરખનું મોજું ફરી વળ્યું હતું.
અગાઉ અમરાવતી જિલ્લાના મેલઘાટ ટાઇગર પ્રોજેક્ટના આંતરિક વિસ્તારમાં રહેતા લોકોને ૨૦૧૮માં વહીવટી તંત્ર દ્વારા નવી તલાઈમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું પુનર્વસન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જોકે આશરે ૫૪૦ ગ્રામજનોની વસ્તી ધરાવતા તેલહરા તાલુકાના આ ગામમાં વીજજોડાણ ન હોવાથી લોકોને અંધકારમાં રહેવાની ફરજ પડતી હતી.
૨૨ જુલાઇએ સ્થિતિમાં પરિવર્તન આવ્યું, જ્યારે નવી તલાઈને આખરે પ્રથમ વખત વીજજોડાણ મળ્યું અને તેના રહેવાસીઓની વીજળી માટેની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો. ગ્રામજનોએ મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે પાડોશનાં ગામમાં જવું પડતું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઇડીસીએલ)ના અધિકારીએ જણાવ્યું હતું કે ગામને વીજજોડાણ પૂરું પાડવાની જવાબદારી સરકાર દ્વારા સંચાલિત એકમની હતી.
‘એમએસઇડીસીએલ મિશન મોડ પર કામ કરે છે, આથી ગામનાં તમામ ઘરો હવે પ્રકાશિત થઈ ઊઠ્યાં છે. આ એમએસઇડીસીએલની ફરજ છે,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.
નવી તલાઈના રહેવાસીઓ માટે તો જાણે દિવાળી વહેલી આવી ગઈ હોય તેવો માહોલ છે. તેમણે દીવા પ્રગટાવીને પ્રસંગની ઉજવણી કરી હતી, જ્યારે બાળકોએ કૅક કાપી હતી અને રાત્રે બાળકો માર્ગો પર રમવામાં મશગૂલ બન્યાં હતાં.