મુંબઈ : ક્યુઆર પાસ મેળવવાની સમય-મર્યાદા લંબાવાશે?
ટ્રેન
ક્યુઆર પાસ માટેની સમય-મર્યાદા ૩૦મી જુલાઇના રોજ પૂરી થઇ રહી છે, ત્યારે જરૂરી ક્ષેત્રોમાં કામ કરનારા સેંકડો લોકોએ ફરિયાદ કરી છે કે, અમલીકરણની ચોક્કસ તારીખ અંગેની ગૂંચવણ સાથે તેમની અરજીઓ હજી પણ મુંબઇ પોલીસ અને સંબંધિત સત્તાધીશો પાસે પેન્ડિંગ પડી હોવાથી તેમને પાસ મળી શક્યા ન હતા.
અધિકારીઓએ સમય-મર્યાદા લંબાવવાનો સંકેત આપતાં જણાવ્યું હતું કે, પાસ જારી કરવામાં વિલંબ થતાં નવી સમય-મર્યાદા જાહેર કરવામાં આવે, ત્યાં સુધી તપાસમાં રાહત આપવામાં આવશે. “જેમણે ક્યુઆર કોડ પાસ મેળવી લીધા છે, તેઓ તે બતાવી શકે છે અને જેમને હજી ન મળ્યા હોય, તેઓ અગાઉની માફક આઇડી કાર્ડ બતાવવાનું ચાલુ રાખી શકે છે.” તેમ એક સિનિયર રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમય-મર્યાદા ૧૦ ઓગસ્ટ સુધી લંબાઇ શકે છે, જોકે હજી આ અહેવાલને પુષ્ટિ મળી નથી. “અમે સૌએ અરજી કરી હતી અને અરજીઓ હજી પણ પેન્ડિંગ છે. બીએમસી ખાતેના ઘણા કર્મચારીઓ પણ રાહ જોઇ રહ્યા છે. ૩૧મી જુલાઇથી શું થશે, તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. શું તારીખ લંબાઇ છે?” તેમ એક બેંક અધિકારીએ ચિંતાના સ્વરે સવાલ કર્યો હતો.
અન્ય પ્રવાસી ભાઉ જાધવે જણાવ્યું હતું કે, “મને હજી સુધી લોકલમાં મુસાફરી કરવા માટે ક્યુઆર કોડ મળ્યો નથી. મેં પોલીસ પાસ ઓફિસમાં ફોન કર્યો હતો, જ્યાંથી જવાબ મળ્યો હતો કે, ક્યુઆર કોડની પ્રક્રિયામાં વધુ બે-ત્રણ દિવસ લાગશે.”