આ વર્ષે ચોમાસામાં મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે
મુંબઈ લોકલ ટ્રેન
રેલવે બોર્ડના સભ્ય (રોલિંગ સ્ટૉક) રાજેશ અગ્રવાલે મુંબઈની મુલાકાત દરમ્યાન પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલવે તંત્ર દ્વારા કરાયેલા કેટલાંક સુધારાને પગલે મુંબઈમાં ચોમાસામાં હવે ૭૦ મિલીમીટર વરસાદને બદલે ૧૫૦ મિલિમીટર એટલે કે ૬ ઈંચ જેટલો વરસાદ એક સાથે પડશે તો પણ ટ્રેન વ્યવહારને કોઈ અસર નહીં થાય અને એ ચાલું રહેશે.
રાજેશ અગરવાલે આ સમયે ઉમેર્યું હતું કે મુંબઈની હાર્બર લાઇન સહિતની બધી લોકલ ટ્રેનોને નવી અને સારી રીતે મેઇન્ટેન કરવાની સાથે એમાં ઘણા સુધારા થયા છે. રેલવે-સ્ટેશનો પણ સ્વચ્છ અને સુંદર બની ગયાં છે. રેલવેએ કોચ બનાવવાના ટાર્ગેટને પ્રાપ્ત કરી લીધો છે એથી નવી ટ્રેનો માટે કોચની કોઈ કમી નથી રહી.
ADVERTISEMENT
જોકે હકીકત એકદમ જુદી છે, જ્યાં હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇનના મુસાફરો દરરોજ ફરિયાદ કરી રહ્યા છે. હાર્બર લાઇનમાં કેટલીક જૂની ટ્રેનો છે, જ્યારે ટ્રાન્સહાર્બરમાં બધી જ લોકલ ટ્રેનો જૂની છે જેમાં એક પણ સીમેન્સ ટ્રેનનો સમાવેશ નથી.
રાજેશ અગ્રવાલે ઉમેર્યું હતું કે ‘હું નિયમિત રીતે મુંબઈના પ્રવાસીઓની ફરિયાદે વિશે વાંચતો હોઉં છું, પરંતુ મને નથી લાગતું કે એ સાચી હોય. હું મુંબઈનો છું અને લાંબા સમય બાદ હું અહીં આવ્યો છું ત્યારે ઘણો બદલાવ જોઈ રહ્યો છું. ટ્રેનો નવી છે, હાર્બર લાઇનમાં પણ સુધારો થયો છે અને સ્ટેશનો સ્વચ્છ અને સુંદર થઈ ગયાં છે. અમે ટ્રેનોને અપગ્રેડ કરી રહ્યા છીએ. ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વખત પ્રોડક્શનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શક્યા છીએ. આજે ૬૦૦૦થી વધુ કોચ બની રહ્યા છે. આવતા વર્ષે ૮૦૦૦થી વધુ કોચનો ટાર્ગેટ છે.’
સિદ્ધિઓથી ખુશ થતાં તેઓ આગળ કહે છે, ‘મુંબઈમાં ટ્રેનોની સપ્લાયથી હું સંતુષ્ટ છું. અમે લેવલ-ટૂ તરફ આગળ વધીને ટ્રેનોની ક્વૉલિટીમાં સુધારો કરવા માગીએ છીએ. અમારું લક્ષ્ય ટ્રેનોની સ્પીડની સાથે ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેનો વધારવાનું છે.’
રેલવેના સ્થાનિક અધિકારીઓને પણ લાગે છે કે ટ્રેનના ઑપરેશનથી કટ-ઑફ થઈ ગયાં છે. જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ ટ્રેન અટકી પડે ત્યારે લોકલ ટ્રેનમાં અનાઉન્સમેન્ટ જેવી સાવ સામાન્ય સિસ્ટમ કેમ નથી? એના જવાબમાં ડિવિઝનલ રેલવે મૅનેજર એસ. કે. જૈને કહ્યું હતું કે ‘ટ્રેનમાં અનાઉન્સમેન્ટ કરવાની સુવિધા છે, પણ અમને ખબર નથી પડતી કે મોટરમૅન કે ગાર્ડ શા માટે અનાઉન્સમેન્ટ નથી કરતા. અમારે એ શોધવું પડશે.’
આ અધિકારીઓ એટલા ડિસકનેક્ટેડ છે કે ઈદની રજામાં રેલવેનું ટાઇમટેબલ રવિવાર મુજબનું હોવાથી રાજેશ અગ્રવાલ અને રેલવે મૅનેજરે ટ્રેનમાં ભારે ગિરદીનો સામનો કરવો પડ્યો હતો.
પૅસેન્જર અસોસિએશને રાજેશ અગ્રવાલના નિવેદનની આલોચના કરતાં કહ્યું હતું કે ‘કાં તો તેમને સ્થાનિક અધિકારીઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે અથવા તો જમીની હકીકતને બદલે બધું સરખી રીતે ચાલી રહ્યું હોવાની સરકારી લાઇનને વળગી રહ્યા છે. હાર્બર લાઇનમાં આવરદા પૂરી થયેલી ટ્રેનો ચાલી રહી છે આથી ઉચ્ચ અધિકારી દ્વારા હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇનમાં બધું સરસ રીતે ચાલી રહ્યું હોવાનું કહેવું સાચું નથી. પૅસેન્જર અસોસિએશનના સભ્ય સુભાષ ગુપ્તાએ કહ્યું હતું કે ‘રેલવેના બાબુ, તમે તેમને કંઈક કહો અને તેમની મુલાકાતમાં હકીકત વિશે વિચારે. હાર્બર તથા ટ્રાન્સહાર્બર લાઇનની સ્થિતિ જોયા બાદ આવી કમેન્ટ કરવી જોઈએ.’
મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનર ફૉર વુમન (એમએસસીડબ્લ્યુ)ની માગણી છે કે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે દરેક જનરલ કોચમાં બે અનામત બેઠક રાખવી જોઈએ અથવા તેમને પ્રાથમિકતા મળવી જોઈએ. આમ કરવાથી મહિલા અને નવજાત બાળકના અઘટિત બનાવ નિવારી શકાશે એમ રેલવેપ્રધાન પીયૂષ ગોયલને લખેલા પત્રમાં (એમએસસીડબ્લ્યુ)નાં અધ્યક્ષા વિજયા રાહતકરે જણાવ્યું છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે ‘તમારા મંત્રાલય દ્વારા સગર્ભા મહિલાઓને દિવ્યાંગોના ડબામાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ ધસારાના સમયે આવી મહિલાઓ માટે એ શક્ય નથી હોતું. આથી દરેક જનરલ કોચમાં પ્રેગ્નન્ટ મહિલાઓ માટે બે આરક્ષિત બેઠક રખાશે તો તેમને માટે બહુ ઉપયોગી થશે.’
રેલવેએ કરેલી જાહેરાત
માર્ચ ૨૦૨૦ સુધીમાં ૬ વેસ્ટર્ન અને ૬ સેન્ટ્રલ લાઇનમાં મળીને કુલ ૧૨ ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન શરૂ થશે.
આવતા અઠવાડિયે લોકલ જેવી ટ્રેનોની ટ્રાયલ મુંબઈ-સુરત વચ્ચે આરંભાશે. ત્યાર બાદ આવી ટ્રાયલ પુણે અને નાશિકમાં કરાશે.
વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ-રાજધાની ટ્રેનને સ્થાને ટ્રેન ૧૯ રિપ્લેસ કરાશે.
આ પણ વાંચો : આ બાબતમાં મુંબઈ નંબર 1, પણ કારણ જાણીને ચોંકી જશો
ભાડાવધારો મહત્વનો
મુંબઈના મુસાફરો સારી સર્વિસ માટે વધુ ભાડું ચૂકવવા તૈયાર છે અને રેલવેએ ચોક્કસ ભાડું વધારવું જોઈએ, કારણ કે બસ કે કૅબનાં ભાડાં કરતાં આજેય રેલવેની ટિકિટો ઘણી સસ્તી છે. આથી ભાડું વધારવાની તાતી જરૂર છે અને મને લાગે છે કે આ પ્રોફેશનલ શહેર હોવાથી મુંબઈગરાઓ એ ચૂકવવા પણ તૈયાર છે એમ રાજેશ અગ્રવાલે કહ્યું હતું.