મુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો
સબવેની સફાઈ કરતા પાલિકાના કર્મચારીઓ.
કુર્લા સબવેમાં પાણી ફરી વળતાં સ્થાનિકોને અસુવિધા થઈ રહી હોવા અંગેના ‘મિડ-ડે’ ઇંગ્લિશે પ્રસિદ્ધ કરેલા અહેવાલના એક દિવસ બાદ સબવેમાંથી પાણી દૂર કરવામાં આવ્યું છે, ગંદકી હટાવી દેવાઈ છે અને હવે રહેવાસીઓ પુનઃ એનો ઉપયોગ કરી શકે છે. સબવે પરનો રેલવે બ્રિજ જોખમી જાહેર કરાયા બાદ એ વપરાશમાં લેવાતો ન હોવાથી પૂર્વ-પશ્ચિમ સબવે સ્થાનિક રહેવાસીઓ માટે ક્રૉસિંગનો મુખ્ય માર્ગ છે.
ફરિયાદો મળ્યા પછી બીએમસી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તમામ પાણી પમ્પ વડે બહાર કાઢી લેવાયાં બાદ કચરો સાફ કરવામાં આવ્યો હતો અને ફ્લોર ધોવામાં આવ્યું હતું. હવે નાગરિકો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના સબવેનો ઉપયોગ કરી શકશે, એમ સ્થાનિક ધારાસભ્ય મંગેશ કુડલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ADVERTISEMENT
અહેવાલના એક દિવસ બાદ બીએમસીના ‘એલ’ વૉર્ડના અધિકારીઓએ વિવિધ વિભાગોના કામદારો સાથે સબવેની મુલાકાત લીધી હતી અને કામગીરી હાથ ધરી હતી. કુર્લા સબવે શહેરના સૌથી લાંબા સબવે પૈકીનો એક છે.
આ સબવેનું ઉદ્ઘાટન શિવસેનાના નેતા તથા મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે દ્વારા ઑક્ટોબર ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું.