હાઈ કોર્ટે જેલના કેદીઓને હંગામી જામીન આપવા બાબતે વિગતો મગાવી
આર્થર રોડ જેલ
બૉમ્બે હાઈ કોર્ટે રાજ્યની બધી જ ટ્રાયલ કોર્ટને શુક્રવારે કોરોનાના કારણે જેલના કેદીઓને હંગામી જામીન પર છોડવા બદલ આવેલી અરજીઓ અને એના પર લેવાયેલા નિર્ણયની વિગતો આપવા જણાવ્યું છે. એ ઉપરાંત રાજ્યની પ્રિઝન ઑથોરિટીને પણ કેદીઓને કોરોના સંદર્ભે કઈ રીતે તપાસાય છે ઉપરાંત જેમનામાં લક્ષણો દેખાય કે જે હાઈ રિસ્ક પેશન્ટ છે તેમના માટે શું સ્ટાન્ડર્ડ પ્રોસીજર ફૉલો કરાય છે એની વિગતો પણ મગાવી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ દ્વારા દાખલ કરાયેલી આ બાબતની ઘણીબધી પીઆઇએલ અને અન્ય અરજદારો પણ કરાયેલી અરજીની સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
કોરોનાના કારણે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ કેદીઓ અને કેટલાક સ્ટાફને કોરોનાનું સંક્રમણ થયું હોવાની માહિતી બહાર આવતાં અરજદારો દ્વારા આર્થર રોડ જેલ અને રાજ્ની અન્ય જેલમાં બંધ કેદીઓની સુરક્ષા જાળવવા રાજ્ય સરકાર પગલાં લે એ માટે જનહિતની અરજી કરી હતી.
અગાઉની સુનાવણીમાં કોરોનાના કારણે રાજ્યભરની જેલમાં બંધ કેદીઓને પણ એનો ચેપ લાગી શકે એથી હંગામી જામીન આપી જેલમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા રાજ્ય સરકારે નિર્ણય લઈ ગયા અઠવાડિયા સુધીમાં ૧૪,૪૦૦ કેદીઓને જામીન મળે એ માટે અરજી કરી હતી એમ રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું છે. રાજ્ય સરકારે વધુમાં કહ્યું છે કે રાજ્યની વિવિધ જેલમાં માત્ર ૨૪,૦૦૦ કેદીઓને રાખવાની જ સુવિધા છે. લૉકડાઉનની શરૂઆતમાં (માર્ચ એન્ડમાં) ૩૭,૦૦૦ કેદીઓ હતા જેમાંથી ૮,૦૦૦ કેદીઓને હંગામી જામીન પર છોડી મુકાયા હતા. વધુ ૧૪,૪૦૦ કેદીઓને જામીન મળે એ માટે જેલ ઑથોરિટીએ હવે અરજી કરી છે.