ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા આપવી કે જતી કરવાનો વિકલ્પ
મુંબઈ યુનિવર્સિટી
સરકારે યુનિવર્સિટીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને રાજ્ય જ્યારે પણ પરીક્ષા હાથ ધરવા સમર્થ હોય ત્યારે પરીક્ષા આપવાનો અથવા સરેરાશ માર્ક્સની ફૉર્મ્યુલાના આધારે ડિગ્રી સર્ટિફિકેટ લેવાનો વિકલ્પ આપ્યો છે.
આગલાં તમામ સેમેસ્ટર પાસ કર્યાં હોય તેવા વિદ્યાર્થીઓને આ વિકલ્પ આપવામાં આવશે. આ નિર્ણય સર્વોચ્ચ સંસ્થાની મંજૂરીને આધીન બિનવ્યાવસાયિક અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે લાગુ પડશે. મેડિકલ સાયન્સિસ યુનિવર્સિટીએ ફાઇનલ યરની પરીક્ષા હાથ ધરવાનું નક્કી કર્યું છે, જ્યારે કૃષિ યુનિવર્સિટીઓએ તેમની પરીક્ષાઓ માટે ઑનલાઇન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
હાયર અને ટેક્નિકલ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે આ વિશે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહામારીને કારણે પરીક્ષાકેન્દ્રો પર ભારે ભીડ તથા મૂલ્યાંકન તેમ જ પરિણામો સંબંધિત પ્રક્રિયા માટે ટીમવર્ક જેવી કામગીરી હાથ ધરવી શક્ય ન હોવાથી રાજ્ય વ્યાવસાયિક તેમ જ બિનવ્યાવસાયિક અભ્યાસક્રમોની ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાની સ્થિતિમાં નથી. રાજ્યની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સમિતિ એની સંમતિ આપવા માટે ૧૮ જૂને મળી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. સામંતની જાહેરાતથી રાજ્યપાલના નામે સરકારી ઠરાવ તાત્કાલિક જારી કરવામાં આવ્યો હતો. મહામારીની સ્થિતિમાં લાગુ કરવામાં આવેલા એપિડેમિક ડિસિઝીસ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ્સની જોગવાઈ હેઠળ નિર્ણય લેવાયો છે.
જોકે એટીકેટી ધરાવનારા વિદ્યાર્થીઓ વિશેનો નિર્ણય સંબંધિત વાઇસ-ચાન્સેલર દ્વારા લેવાશે.