મુંબઈ : ગ્રીન ક્રૅકર્સ નામના જ ગ્રીન છે
ઍક્ટિવિસ્ટ સુમેરા અબ્દુલ અલી
સરકારે ધ્વનિ પ્રદૂષણ ઓછું કરતા અને ઓછા પ્રમાણમાં હાનિકારક રસાયણો ધરાવતા ફટાકડા ગ્રીન ક્રૅકર્સના વેચાણની અને ફોડવાની પરવાનગી આપી હોવા છતાં આવાઝ ફાઉન્ડેશને કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર પૂર્ણ પ્રતિબંધની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરી છે.
આવાઝ ફાઉન્ડેશનના પ્રમુખ સુમેરા અબ્દુલ અલીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ગ્રીન ક્રૅકર્સમાં પણ બેરિયમ નાઇટ્રેટ, પોટેશ્યમ નાઇટ્રેટ અને સલ્ફર જેવાં હાનિકારક અને પ્રતિબંધિત રસાયણો હોય છે, એથી કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર અને વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.’
ADVERTISEMENT
સર્વોચ્ચ અદાલતે ૨૦૧૬ના ઑક્ટોબર મહિનામાં બેરિયમ નાઇટ્રેટના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ ઍન્ડ રિસર્ચ (નીરી)એ બેરિયમ નાઇટ્રેટ ફ્રી ફૉર્મ્યુલેશન્સ તૈયાર કર્યા છે. આવાઝ ફાઉન્ડેશને જે ગ્રીન ક્રૅકર્સનો ઉલ્લેખ કર્યો છે, એના પર નીરીનો સ્ટૅમ્પ છે.
સુમેરા અબ્દુલ અલીએ પત્રમાં જણાવ્યું હતું કે ‘ઓછા અવાજ પ્રદૂષણ અને બેરિયમ ફ્રી ફૉર્મ્યુલાના દાવા ગ્રીન ક્રૅકર્સના પૅકેજિસ પર છાપવામાં આવે છે, પરંતુ હકીકતમાં એ ફટાકડા શ્વાસની બીમારીઓ વધારે છે અને કોરોના ઇન્ફેક્શનની સ્થિતિ વણસે છે. ગ્રીન ક્રૅકર્સ સર્વોચ્ચ અદાલતના આદેશનો ભંગ કરે છે.’