મુંબઈ : રાજ્યમાં નોકરી મેળવવા માટે ડૉમિસાઇલ સર્ટિફિકેટ ફરજીયાત
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે અનુમતી આપી રહી છે, ત્યારે ઘણા ઉદ્યોગો કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે, એ મામલે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ યોગ્ય નથી.
ઠાકરેએ મહારાષ્ટ્રના વતનીઓ માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવતું રાજ્ય સરકારનું મહાજોબ્ઝ પોર્ટલ લોન્ચ કરવા દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. આ સાઇટ પર રજીસ્ટ્રેશન કરતી વખતે ડૉમિસાઇલ સર્ટિફિકેટ આપવુ જરૂરી છે.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે લૉકડાઉનના કારણે પોતાનાં વતનનાં રાજ્યોમાં જતા રહેલા સ્થળાંતરિત શ્રમિકો મહારાષ્ટ્ર સરકારે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપતાં ધીમે-ધીમે મહારાષ્ટ્રમાં પાછા ફરી રહ્યા છે.
અત્યારે આપણી પાસે નોકરી ઉપલબ્ધ છે, પરંતુ કર્મચારીઓ નથી. આ વાસ્તવિક સ્થિતિ હોવા છતાં ગઈ કાલે મેં એક વિચિત્ર સ્થિતિ નોંધી. ઘણા ઉદ્યોગો કામદારોનો પગાર કાપવા માંડ્યા છે અથવા તો તેઓ કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે. અહીંના વતનીઓ અથવા તો પોતાનાં રાજ્યોમાં પાછા ન ફરેલા અને કાર્ય સ્થળે જનારા શ્રમિકોને છૂટા કરવામાં આવી રહ્યા છે. આ યોગ્ય નથી, એમ તેમણે જણાવ્યું હતું.