એવું તે શું બન્યું કે ડાયમન્ડના જૈન વેપારી ધીરેન શાહે આત્મહત્યા કરી
ઑપેરા હાઉસમાં આવેલા પ્રસાદ ચેમ્બર્સની અગાસી પરથી પડતું મૂકનારા ડાયમંડ કંપનીના માલિક ધીરેન શાહ અને ઘટનાસ્થળ.
છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં ઊંચાઈએથી કૂદકો મારીને જીવનનો અંત લાવવાના બનાવો બની રહ્યા છે. આવી જ રીતે ગઈ કાલે ઑપેરા હાઉસમાં પ્રસાદ ચેમ્બર્સ નામની ઇમારતના પંદરમા માળેથી એક ૬૧ વર્ષના ડાયમંડના ગુજરાતી વેપારીએ ઉપરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સારુંએવું કામકાજ અને સાધન-સંપન્ન પરિવાર હોવા છતાં આ ગુજરાતી જૈન વેપારીએ શા માટે આવું પગલું ભર્યું એની ચર્ચા હીરાબજારમાં છે. તેમણે મૃત્યુ પામતા પહેલાં બે લાઈનની લખેલી સુસાઈડ નોટમાં પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ગણવાની નોંધ લખી છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઑપેરા હાઉસ વિસ્તારમાં આવેલી પ્રસાદ ચેમ્બર્સની ટેરેસ પરથી કોઈકે કૂદકો માર્યો હોવાની જાણ સવારે ૯.૪૫ વાગ્યે કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૫ માળની ઊંચાઈએથી પટકાતાં મૃત્યુ પામેલી વ્યક્તિ નેપિયન-સી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષના ધીરેન શાહ હોવાનું જણાઈ આવ્યું હતું.
ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક ધીરેન શાહ સવારે પ્રસાદ ચેમ્બર્સમાં પંદરમા માળે આવેલી ઑફિસમાં પહોંચ્યા હતા. ઑફિસ પહોંચ્યા બાદ થોડા સમયમાં જ તેમણે પોતાના સ્ટાફને આંટો મારવા જતા હોવાનું કહીને ટેરેસ પર ગયા હતા. અહીંથી જ તેમણે મોતની છલાંગ લગાવી હતી.’
ADVERTISEMENT
ઘટનાસ્થળે પોલીસે કરેલી તપાસમાં ધીરેન શાહના ટેબલ પરથી બે લાઈનની એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે નોંધ્યું છે કે આ પગલું લેવાનો નિર્ણય પોતાનો જ છે, આથી કોઈને આ માટે જવાબદાર ન ઠેરવવા. પોલીસે આ સુસાઈડ નોટ તાબામાં લીધી છે. ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશને આ મામલામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધીરેન શાહ નિયમિત સમય પ્રમાણે જ ગઈ કાલે તેમના એક મિત્ર સાથે કારમાં પ્રસાદ ચેમ્બર પહોંચ્યા હતા. તેઓ પંદરમા માળે એક ડાયમંડના દાગીના બનાવતી શૅરબજારમાં લિસ્ટેડ કંપનીના માલિક છે અને નેપિયન-સી જેવા ધનાઢ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. મૂળ પાટણના જૈન પરિવારના ધીરેનભાઈનો એક પુત્ર અમેરિકામાં રહીને ડાયમંડનો બિઝનેસ સંભાળે છે. બીજો પુત્ર અહીં રહે છે. ટૂંક સમયમાં તેઓ બીજી એક કંપની શૅરબજારમાં લિસ્ટ કરવાના હતા. આવી સ્થિતિમાં તેમણે આવું પગલું શા માટે ભર્યું હશે એવી ચર્ચા હીરાબજારમાં ચાલી રહી છે.
ધીરેન શાહની અંતિમક્રિયા પૂરી થયા બાદ તેમના મૃત્યુનું કારણ જાણવા પોલીસ તેમના પરિવારજનો અને કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરશે.