કલ્યાણના ટ્રાન્સપોર્ટના વેપારીનું કન્ટેનરની અડફેટમાં આવતાં મૃત્યુ
મંગળદાસ કટારમલ ભાનુશાલી
વાશીમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા ૪૮ વર્ષના મંગળદાસ કટારમલ ભાનુશાલી ગુરુવારે સવારે કામસર ડોમ્બિવલી તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી પુરજોશમાં આવી રહેલા કન્ટેનરની અડફેટમાં આવી ગયા હતા. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
શીલ-ડાઇઘર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ ડ્રાઇવરની અમે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
કલ્યાણ-ઈસ્ટમાં તીસગાંવ નાકા નજીક આવેલા સંતોષનગરની શિવમંગલ સોસાયટીમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની સાથે રહેતા મંગલદાસભાઈ ટ્રાન્સપોર્ટના કામસર સવારે ઘરેથી ૧૦.૩૦ વાગ્યે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે થાણેના શીલ-ડાઇઘર વિસ્તાર નજીક મુમ્બ્રા-પનવેલ માર્ગ પર તેમની મોટરસાઇકલને પાછળથી આવી રહેલા એક કન્ટેનરે અડફેટમાં લીધું હતું અને એ તેમના શરીર પરથી પસાર થઈ ગયું હતું.
આ સંદર્ભે મંગલદાસભાઈના પુત્ર મનોજભાઈએ જણાવ્યું કે ‘સવારે પપ્પા નીકળ્યા બાદ બપોરે અમે તેમના મોબાઇલ પર ફોન કર્યો ત્યારે અમને ઘટનાની જાણ થઈ હતી.’
શીલ-ડાઇઘરના સિનિયર પોલીસ-ઇન્સ્પેકટર ચંદ્રકાન્ત જાધવે જણાવ્યું હતું કે કન્ટેનરના ડ્રાઇવરની અમે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.