નાલાસોપારામાં ગૌરક્ષક પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો: 14ની અરૅસ્ટ
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારા-વેસ્ટમાં રવિવારે મોડી રાતે ૩૫ વર્ષના ગૌરક્ષક અને એનિમલ વેલફેર ઓફિસર રાજેશ પાલની પર એક ટોળાએ જીવલેણ ગુમલો કરીને ગંભીર જખમી કર્યા હતા. આ ગૌરક્ષકને ત્રણ પોલીસ દ્વારા તેને ટોળામાંથી બચાવી લેવાયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગઈ કાલે નાલાસોપારા પોલીસે આ બનાવમાં ૧૪ જણની ધરપકડ કરી છે. ગૌહત્યા અંગેની બાતમી મળ્યા બાદ રાતે પીડિત રાજેશ પાલ અને નાલાસોપારા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ સાથે નાલાસોપારા-વેસ્ટના સોપરા ગામમાં પહોંચ્યૉ હતા. જ્યારે તેઓને આ વિસ્તારમાં ગૌહત્યા અંગેની બાતમી મળી હતી.
રાજેશ પાલે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૫૦ શખ્સોના ટોળાએ તેના પર હથિયારો, લાઠી અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળાએ તેના માથા અને ગળા પર હુમલો કર્યો હતો. હાલમાં તેને નાલાસોપારાની એલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ADVERTISEMENT
આ સંદર્ભે નાલાસોપારા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વસંત લબ્ધેએ જણાવ્યું હતું કે ‘પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને ૧૪ જણાની ધરપકડ કરીને ગઈ કાલે વસઈ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા આરોપીઓને પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો છે. જ્યારે પોલીસ બાકીના આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે જે ફરાર થઈ ગયા છે.’
નાલાસોપારામાં રહેતાં એનિમલ વેલફેર ઓફિસર નિલેશ ખોખાણીએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘રાજેશ પણ અમારી સાથે સદભાવના સેવાસંસ્થા ટ્રસ્ટ-નાલાસોપારા સાથે જોડાયેલાં છે. એક બળદ અને એક વાછરડુંને કતલ કરવા લાવવાની વાત મળતાં તેમને રેસક્યુ કરવા ગયા હતા. તેમને રેસક્યુ કર્યા બાદ હું ટૅમ્પો લઈને જઈ રહ્યો હતો એટલા વખતમાં ત્યાં રાજેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. બન્ને મૂંગા જનાવરોને સકવાર ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે.’