શિવસેનાના કાર્યકરનો વૉન્ટેડ હત્યારો પકડાયો
પ્રતીકાત્મક તસવીર
ક્રાઇમ બ્રાન્ચની ઍન્ટિએક્સ્ટોર્શન સેલ (એઇસી)એ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૯ના વિક્રોલીમાં શિવસેનાના કાર્યકર ચંદ્રશેખર જાધવ પર જીવલેણ હુમલો કરવાના આરોપસર ૪૦ વર્ષના આરોપીની શનિવારે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ભાંડુપના રહેવાસી સાગર જાધવ તરીકે કરવામાં આવી હતી.
વિક્રોલીના ટાગોરનગરમાં સવારે સાત વાગ્યે ક્લોઝ રેન્જથી જાધવની ગોળી મારીને હત્યા કરાઈ હતી. શૂટર સાગર મિશ્રાને રાહદારીઓએ ઝડપી લઈને તેને માર માર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે ઘટનાસ્થળેથી મિશ્રાએ ઉપયોગમાં લીધેલી પૉઇન્ટ ૩૨ એમએમની રિવૉલ્વર કબજે કરી હતી અને એ રિવૉલ્વર કાનપુરની શસ્ત્રની ફૅક્ટરીની બનાવટની હોવાનું માલૂમ પડ્યું હતું. એનો માલિક મધ્ય પ્રદેશના નૈનીનો કૃષ્ણધર શિવનાથ સિંહ હોવાનું જાણવા મળ્યું હતું. થાણેથી ઝડપાયેલા આરોપી આનંદ ફડનેરે જણાવ્યું હતું કે ‘સિંહ ખંડણીખોર પ્રસાદ પૂજારીના સતત સંપર્કમાં હતો અને પૂજારીએ હુમલાનો આદેશ આપ્યો હતો.’
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ ઘટના બની ત્યારે જાધવ પૂજારીના સતત સંપર્કમાં હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જાધવ આ કેસનો વૉન્ટેડ આરોપી હતો અને તપાસ દરમિયાન અમને માલૂમ પડ્યું હતું કે તે ઘણા સ્થાનિક રાજકારણીઓ સાથે કામ કરતો હતો.’
અગાઉ ક્રાઇમ બ્રાન્ચે પૂજારીની માતા ઇન્દિરા પૂજારીની ખંડણી રૅકેટ ચલાવવામાં પુત્રને મદદ કરવા બદલ ધરપકડ કરી હતી. ઇન્દિરાએ પૂજારીના ઇશારે ગૅન્ગના સભ્યોને નાણાકીય મદદ કરી હતી.
આ દરમિયાન બીજેપીના નેતા મનોજ કોટક સાથેનો જાધવનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. જોકે કોટકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તે જાધવને અંગતપણે ઓળખતા નથી અને રાજકારણી હોવાથી ઘણા લોકો તેમની પાસે તસવીર ખેંચાવવા આવે છે.